ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈના IMC ચર્ચગેટના ઓડિટોરિયમમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા 25 નવેમ્બરના એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે આવેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર સાથે જુદી જુદી વેપારી સંસ્થાઓ અનેક સમસ્યાઓ પર ચર્ચા કરી હતી, જેમાં મુખ્યત્વે 2020માં ચિંતાજનક સ્તરે વેપારીઓ દ્વારા કરવામા આવેલી આત્મહત્યા અને તેમના પરિવારજનોને 20 લાખ સુધી વળતર આપવાની તેમ જ પામ તેલના આયાત કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને CAITના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ શંકર ઠક્કરે નિતી આયોગનના ડેપ્યુટી ચેરમેન સાથે વેપારી વર્ગે કરેલી ચર્ચા બાબતે જણાવ્યું હતું કે વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન વેપારીઓનું આત્મહત્યા કરવાનું પ્રમાણ વધી ગયું હતું. સરકારે યોગ્ય પગલાં લેવાની જરૂર હતી. આત્મહત્યા થતી અટકાવી શકાઈ હોત. અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને તેના વિશે સતત જાણ કરી હતી. હજુ પણ સમય છે કે સરકાર નાના વેપારીઓ માટે યોગ્ય રકમ તાત્કાલિક જાહેર કરે અને વેપારીઓના ખાતામાં જમા કરાવે. જે વેપારીઓ આત્મહત્યા કરે તેમના પરિવારને ઓછામાં ઓછી 20 લાખ રૂપિયાની રકમ તાત્કાલિક મદદ આપવી જોઈએ એવી માગણી કરી હતી. આ ઉપરાંત સરકારે વેપારીઓને એમએસએમઈમાં સામેલ કરવાની જાહેરાત કરી છે, પરંતુ એમએસએમઈને તમામ પ્રકારના લાભ હજુ સુધી વેપારીઓને મળી રહ્યાં નથી, તે અંગે પણ યોગ્ય પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર એક તરફ તેલની બાબતમાં આત્મનિર્ભર બનવાની વાતો કરી રહી છે અને આ માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ દિશા ખોટી છે. સરકારે ‘પામ મિશન’ માટે રૂ.11,040 કરોડ ફાળવ્યા છે પરંતુ પામના વૃક્ષો વાવો તેને 6 થી 7 વર્ષ પછી ફળ આવવામાં સમય લાગે છે જેના કારણે ભારત આવનારા 15 થી 20 વર્ષ સુધી તેલની બાબતમાં આત્મનિર્ભર બની શકશે નહીં. આપણા દેશી તેલ જેમ કે તલ, સરસવ કે મગફળી કે જેનો પાક વર્ષમાં બે વાર લઈ શકાય તેવા પાકોને પ્રાધાન્ય આપવું જોઈએ જેથી કરીને આપણે વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર બની શકીએ.
વેપારી વર્ગની વાત સાંભળ્યા બાદ ડૉ. રાજીવ કુમારે જે મુદ્દાઓ પર નીતિ આયોગનો સીધો હસ્તક્ષેપ છે, તેના પર તરત જ યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. સંબંધિત મંત્રાલય સાથે વાત કરીને અન્ય સૂચનો અને સમસ્યાઓનું નિરાકરણ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી. વેપારીઓની આત્મહત્યાને તેમણે દુખ વ્યક્ત વ્યક્ત કરતાં કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ અંગે નેશનલ ક્રાઈમ રજિસ્ટર્ડ બ્યુરો પાસેથી માહિતી લીધા બાદ તાત્કાલિક મદદની જાહેરાત કરવામાં આવશે.
આ બેઠકમાં સ્વદેશી જાગરણ મંચના વરિષ્ઠ અધિકારીઓ અને CAITના મહેશ બખાઈ, રમણીક છેડા, વિરેન બાવીશી, દિલીપ મહેશ્વરી, ભારત મર્ચન્ટ ચેમ્બરના પ્રમુખ લોહિયા અને વરિષ્ઠ સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.