News Continuous Bureau | Mumbai
Air India Flight Cancellation 2026। ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરનારા પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. વૈશ્વિક સ્તરે વિમાન ઈંધણ (Jet Fuel) ના ભાવમાં થયેલો તોતિંગ વધારો અને ઈરાન જંગને કારણે સર્જાયેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ જૂન મહિનાથી આગામી ત્રણ મહિના માટે પોતાની ૧૦૦ જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવાનો અથવા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
શિકાગો અને સિંગાપોર સહિતના રૂટ પ્રભાવિત
એર ઈન્ડિયાએ દિલ્હી હબથી અનેક મહત્વના રૂટ પર પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે. જેમાં શિકાગો, નેવાર્ક, સિંગાપોર અને શાંઘાઈ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કો, પેરિસ અને ટોરન્ટો જેવા શહેરો માટેની ફ્લાઈટ્સની સંખ્યા (Frequency) માં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એરલાઈન માટે મોંઘા ઈંધણ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે આ રૂટ હવે ‘ખોટનો સોદો’ બની ગયા છે.
ઈંધણના ભાવમાં ‘ડબલ એટેક’
૮ મે ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિમાન ઈંધણની વૈશ્વિક સરેરાશ કિંમત ૧૬૨.૮૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે ફેબ્રુઆરીના અંતમાં માત્ર ૯૯.૪૦ ડોલર હતી. કોઈ પણ એરલાઈનના સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો લગભગ ૪૦% હોય છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને જણાવ્યું કે પીક ટ્રાવેલ સીઝન દરમિયાન આ કાપ મૂકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાનો માર
એર ઈન્ડિયાને ઈન્ડિગો જેવી હરીફ કંપનીઓ કરતા વધુ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાને કારણે યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ફ્લાઈટ્સને લાંબા રસ્તેથી જવું પડે છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની મુદત ૨૪ મે ૨૦૨૬ સુધી વધારી દીધી છે. પીએમ મોદીએ પણ ઈરાન યુદ્ધને કારણે ઉદભવેલા સંકટને જોતા દેશવાસીઓને ઈંધણ અને મુસાફરી પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે.