ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર,2021
મંગળવાર.
વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ની ચાલી રહેલી તપાસને ફાસ્ટ ટ્રેક પર લાવવાની અપીલ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને કરવામાં આવી છે.
આ બંને ઈ-કોમર્સ કંપની સામે દિલ્હી વ્યાપાર સંઘ અને CAIT દ્વારા CCIમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે. જેના પર CCI દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ તપાસમાં થઈ રહેલા વિલંબને કારણે આ બંને ઈ-કોમર્સ કંપનીઓને સંબંધિત રેકોર્ડમાં તથા પુરાવામાં ઝોલ-ઝપાટ કરવામાં સમય મળી શકે છે. છેલ્લા બે વર્ષથી આ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે, તેને કારણે તપાસનો ઉદ્દેશ્ય જ ખતમ થઈ જાય છે. આ મુદ્દે CAIT દ્વારા સપ્ટેમ્બર 2019માં કોર્મસ મિનિસ્ટરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એ સાથે જ કોમર્સ મિનિસ્ટરીના પ્રધાન પિયુષ ગોયલને પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત પ્રસ્તાવિત ઈ-કોમર્સના નિયમોને તુરંત અમલમાં લાવવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કોમર્સ નીતિને જલદી અમલમાં મૂકવાની માગણી પણ CAIT દ્વારા કરવામાં આવી હતી.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રીના કહેવા મુજબ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોન અને ફ્લિપકાર્ટ બંનેની તપાસ પર સ્ટે લાવવાની અપીલને ફગાવી દેવામાં આવી છે. તેથી પિયુષ ગોયલે બંને કંપનીઓ વિરુદ્ધની તપાસ ફાસ્ટ ટ્રેક પર લાવવાનો આદેશ CCIને આપવો જોઈએ એવી માગણી પણ CAITએ કરી હતી.