News Continuous Bureau | Mumbai
PM Modi Gold Strike| દુનિયાભરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ મચી છે. ભારત માટે પણ આ ખતરાની ઘંટી છે કારણ કે ખાડી દેશોમાંથી આવતા ઈંધણ અને ગેસના સપ્લાય પર અસર પડી છે. આવા મુશ્કેલ સમયમાં પીએમ મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલડીઝલ તેમજ ખાદ્ય તેલના વપરાશમાં કાપ મૂકવા અપીલ કરી છે. આ અપીલ પાછળનું મુખ્ય કારણ ‘ક્રાઈસીસ મેનેજમેન્ટ’ છે, જેથી દેશનું વિદેશી મુદ્રા ભંડાર સુરક્ષિત રહે અને અર્થતંત્ર પર દબાણ ન વધે.
સોનું ન ખરીદવા પાછળનું આર્થિક ગણિત
ભારત દર વર્ષે અંદાજે ૬ લાખ કરોડ રૂપિયાનું સોનું વિદેશથી આયાત કરે છે. આ માટે દેશે જંગી માત્રામાં ડોલર (USD) ચૂકવવા પડે છે. યુદ્ધને કારણે ડોલર મોંઘો થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે. પીએમ મોદીની અપીલનો હેતુ એ છે કે જો આપણે એક વર્ષ માટે સોનાની આયાત (Import) ઘટાડી દઈએ, તો અબજો ડોલરની બચત થશે અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પરનું ભારણ ઓછું થશે. જોકે, આ અપીલ બાદ જ્વેલરી ઉદ્યોગ અને શેરબજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
‘ગોલ્ડ સ્ટ્રાઈક’ પાછળના ૩ મુખ્ય કારણો
નિષ્ણાતો માને છે કે આ અપીલ પાછળ ત્રણ મુખ્ય કારણો છે. પ્રથમ, યુદ્ધના આ અનિશ્ચિત સમયમાં ડોલર બચાવીને દેશની ઈકોનોમી (Economy) સ્થિર રાખવી. બીજું, સરકાર ઈચ્છે છે કે લોકો નવું સોનું ખરીદવાને બદલે જૂના સોનાને જ રિસાયકલ કરે જેથી જ્વેલરી ઉદ્યોગ પણ ચાલુ રહે અને આયાત પરની નિર્ભરતા ઘટે. ત્રીજું કારણ એ છે કે યુદ્ધને કારણે કાચા તેલ અને ખાતરની કિંમતો વધી રહી છે, તેથી સરકાર તે જરૂરી આયાત માટે વિદેશી ભંડોળ બચાવવા માંગે છે.
પેટ્રોલ અને ખાદ્ય તેલમાં બચતનો માસ્ટર પ્લાન
ભારત ૧૧ લાખ કરોડનું કાચું તેલ (Crude Oil) અને ૧.૬૧ લાખ કરોડનું ખાદ્ય તેલ આયાત કરે છે. પીએમ મોદીએ લોકોને વિનંતી કરી છે કે બિનજરૂરી મુસાફરી ટાળે અને ખાનગી વાહનોને બદલે મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. RBI ના આંકડા મુજબ, ફેબ્રુઆરીમાં જે વિદેશી મુદ્રા ભંડાર ૭૨૮ અબજ ડોલર હતો, તે ઘટીને ૬૯૦ અબજ ડોલર થઈ ગયો છે. આ ૩૮ અબજ ડોલરનો ઘટાડો ચિંતાજનક છે, તેથી આયાત પર નિયંત્રણ લાદવું અનિવાર્ય બન્યું છે.
👉 આ સમાચાર વાચો:
PM Modi Online Classes Appeal। શું ફરી જૂના દિવસો પરત આવશે? પીએમ મોદીએ કેમ કરી ઓનલાઇન ક્લાસ અને WFH ની અપીલ? જાણો વડાપ્રધાનના સંબોધનના મુખ્ય અંશ