News Continuous Bureau | Mumbai
LPG Gas Cylinder Price: અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત ભારત માટે ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા રોકવાની અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની તૈયારી દર્શાવતા પશ્ચિમ એશિયામાં સર્જાયેલું ઈંધણ સંકટ હળવું થશે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં એલપીજી (LPG) અને અન્ય ઈંધણની અછત વર્તાઈ રહી હતી, જેનો હવે અંત આવશે.હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી જહાજોની અવરજવર શરૂ થતા જ ભારતીય ધ્વજ ધરાવતા બે મોટા LPG ટેન્કરો સુરક્ષિત રીતે ભારતીય બંદરો તરફ રવાના થયા છે. આ બંને જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા 16 માલવાહક જહાજોમાં સામેલ હતા, જે હવે ભારત માટે રાહતના સમાચાર લાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : US Politics: શાંતિ સ્થાપવા છતાં ટ્રમ્પ નિશાના પર! સીઝફાયર બાદ અમેરિકામાં કેમ ગુંજ્યા ‘ટ્રમ્પ રાજીનામું આપો’ ના નારા?
ભારતમાં ક્યારે પહોંચશે ગેસના ટેન્કરો?
શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, 46,650 ટન એલપીજી લઈને આવી રહેલું ‘ગ્રીન સાન્વી’ ટેન્કર ભારત પહોંચવાની તૈયારીમાં છે. જ્યારે 15,500 ટન ગેસ સાથેનું ‘ગ્રીન આશા’ ટેન્કર 9 એપ્રિલ સુધીમાં ભારતીય કિનારે પહોંચી જશે. આ પુરવઠો પહોંચતા જ બજારમાં રસોઈ ગેસની અછત દૂર થશે અને વિતરણ વ્યવસ્થા ફરી પાટા પર આવશે.
રસોઈ ગેસ માટે પશ્ચિમ એશિયા પર નિર્ભરતા
ભારત પોતાની રસોઈ ગેસની જરૂરિયાતના લગભગ 60 ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. આ આયાતમાંથી 90 ટકા ગેસ પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવે છે. યુદ્ધને કારણે આ માર્ગ બંધ થતા ભારતમાં ઈંધણનું ગંભીર સંકટ ઉભું થવાની ભીતિ હતી. પરંતુ હવે બે અઠવાડિયાના યુદ્ધવિરામથી ભારતને મોટો આર્થિક અને સામાજિક દિલાસો મળ્યો છે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને ટ્રમ્પનો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરના આગ્રહ પર તેમણે ઈરાન પરનો વિનાશક હુમલો બે અઠવાડિયા માટે રોક્યો છે. તેના બદલામાં ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થયું છે. આ રાજદ્વારી સફળતાથી વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવો પર પણ નિયંત્રણ આવશે.