ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
પોતાનું એક ઘર હોય એ દરેક વ્યકિત નું સપનું હોય છે અને એ દિશામાં સરકાર મહત્વ ના પગલાઓ પણ ભરી રહી છે. સેન્ટ્રલ હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રાએ દરેક રાજ્યોને પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન પર સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે રાજ્યો દ્વારા આમ કરવાથી સ્થાવર મિલકતના કુલ ખર્ચમાં ઘટાડો થશે અને મકાનોના વેચાણમાં વધારો થશે. મિશ્રાએ કહ્યું કે છેલ્લા છ વર્ષ દરમિયાન સરકારે આ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા રિયલ્ટી કાયદો 'રેરા' જેવા અનેક પગલાં લીધાં છે. વધુમાં જણાવ્યું કે લોકડાઉન દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે નાણાં મંત્રાલય સાથે મળીને આ ક્ષેત્રની ચિંતાઓને દૂર કરવા અનેક નીતિઓ બનાવી છે. જેના પર અમલીકરણ પણ થઈ રહ્યું છે.
કોરોનાના અનલોકડાઉન બાદ હવે મુંબઈ, મહારાષ્ટ્રમાં સંપત્તિની નોંધણીમાં સુધારો થયો છે અને તે કોરોના પહેલા જે સમયે હતો તે સ્તર પર પહોંચી ગયો છે. મિશ્રાએ કહ્યું કે સ્ટેમ્પ ડ્યુટી કપાત અંગે મહારાષ્ટ્ર સરકારે સારો નિર્ણય લીધો છે અને ઘણા બિલ્ડરોએ આ કપાતનો લાભ ઘરના ખરીદદારોને આપ્યો છે. આથી જ આ અંગે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે અને તેઓ વિવિધ મુખ્ય સચિવો અને રાજ્ય સચિવોના સંપર્કમાં છે. સચિવે જણાવ્યું હતું કે સ્થાવર મિલકત ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે અને દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) અને રોજગારી પેદા કરવામાં મોટો ફાળો આપે છે. આથી જ રોગચાળાના આ સમયે બિલ્ડરોને સમીક્ષા કરવા અને ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય છે તે જોવા જણાવ્યું છે.