News Continuous Bureau | Mumbai
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટેનું માળખું તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે આ કરારમાં ભારતીય ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ ટ્રેડ ડીલથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME સેક્ટર, ખેડૂતો અને માછીમારો માટે વિશ્વના સૌથી મોટા અમેરિકી બજારમાં પ્રવેશવું સરળ બનશે. અમેરિકા હવે ભારતીય વસ્તુઓ પરનો ટેરિફ 25% થી ઘટાડીને 18% કરશે, જેનાથી ભારતીય સામાન અમેરિકામાં વધુ સસ્તો અને સ્પર્ધાત્મક બનશે.
ભારતીય ખેડૂતો માટે શું છે ફાયદો?
મોદી સરકારે ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને આ કરારમાં ‘સંવેદનશીલ ઉત્પાદનો’ ને સુરક્ષિત રાખ્યા છે:
સંપૂર્ણ સુરક્ષા: મકાઈ, ઘઉં, ચોખા, સોયા, મરઘા પાલન (Poultry), દૂધ, પનીર અને માંસ જેવા ઉત્પાદનોને આ કરાર હેઠળ રક્ષણ અપાયું છે, એટલે કે તેના પર કોઈ જોખમ રહેશે નહીં.
નવું બજાર: માછીમારો અને નાના ખેડૂતો માટે 30 ટ્રિલિયન ડોલરનું વિશાળ ગ્લોબલ માર્કેટ ખુલશે, જેનાથી તેમની આવકમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો : Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
વેપાર અને ઉદ્યોગમાં ‘માસ્ટરસ્ટ્રોક’
નિકાસમાં વધારો થવાથી દેશના લાખો યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની તકો ઉભી થશે. આ કરારથી નીચેના ક્ષેત્રોને સીધો ફાયદો થશે:
ટેક્સટાઇલ અને લેધર: કપડાં અને ચામડાની વસ્તુઓ પર ટેરિફ ઘટવાથી નિકાસ વધશે.
ઝીરો ટેરિફ: જેનરિક દવાઓ, હીરા અને રત્નો તેમજ વિમાનના સ્પેરપાર્ટ્સ પર ટેરિફ શૂન્ય (Zero) કરવામાં આવ્યો છે.
મેક ઇન ઇન્ડિયા: હસ્તકલા, હોમ ડેકોર અને ઓર્ગેનિક કેમિકલ્સ જેવા સેક્ટર્સને હવે અમેરિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મોટું પ્લેટફોર્મ મળશે.
ભારત-અમેરિકા કરારનું આર્થિક ગણિત
આ કરાર મુજબ, કપડાં અને મશીનરી જેવી ભારતીય નિકાસ પરનો ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છે, જે ભારતીય નિકાસકારો માટે મોટી રાહત સમાન છે. સૌથી મહત્વની જાહેરાત જેનરિક દવાઓ અને હીરા માટે કરવામાં આવી છે, જેના પર હવેથી કોઈ પણ પ્રકારનો ટેરિફ લાગશે નહીં એટલે કે તે હવે ૦% (શૂન્ય) ટેરિફ સાથે અમેરિકી બજારમાં ઉપલબ્ધ થશે. વધુમાં, રશિયન તેલની ખરીદીને કારણે ભારતીય વસ્તુઓ પર અમેરિકાએ જે ૨૫% વધારાનો કર લાદ્યો હતો, તેને પણ હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આ નવા ટેરિફ માળખાથી અમેરિકી બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે અને દ્વિપક્ષીય વેપારને વેગ મળશે.ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલની ખરીદીના કારણે ભારત પર લાદેલો 25% વધારાનો ટેરિફ હટાવી લીધો છે, જે ભારત માટે મોટી જીત છે. બદલામાં, ભારત આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી $500 અબજના એનર્જી પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી ખરીદશે. આ ડીલથી બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.
