News Continuous Bureau | Mumbai
Share Market Recovery Today વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટના જલ્દી ઉકેલની આશાએ આજે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સતત બે દિવસના મોટા ઘટાડા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 655.92 પોઈન્ટ (0.85%) વધીને 78,222.08 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 (Nifty 50) ઇન્ડેક્સ અંદાજે 250 પોઈન્ટના ઉછાળા સાથે 24,280 ના સ્તરે ખુલ્યો હતો.ગઈકાલે સોમવારે સેન્સેક્સમાં 1352 પોઈન્ટનો કડાકો બોલાયો હતો, જેની સામે આજે બજારે રિકવરીના સંકેતો આપ્યા છે. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 900 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. સવારે 9:23 વાગ્યે સેન્સેક્સ 439 પોઈન્ટ વધીને 78,005 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તે નિવેદન છે જેમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો મોટો ઘટાડો
યુદ્ધ જલ્દી ખતમ થવાની શક્યતાને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) અંદાજે 10.66 ટકા ઘટીને 88.41 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. અગાઉના સત્રમાં આ ભાવ 119.50 ડોલર સુધી પહોંચી ગયા હતા, જે 2022 પછીનો સર્વોચ્ચ સ્તર હતો. તેલના ભાવ ઘટવા એ ભારત જેવા આયાતકાર દેશ માટે આર્થિક રીતે ખૂબ જ સારા સમાચાર છે, જેની સીધી અસર આજે તેલ અને પેઈન્ટ્સ સેક્ટરના શેરો પર જોવા મળી છે.
આ શેરોમાં જોવા મળી સૌથી વધુ તેજી
સવારના કારોબારમાં સેન્સેક્સના 30 માંથી 25 શેરો તેજી સાથે ખુલ્યા હતા. ખાસ કરીને ઉડ્ડયન ક્ષેત્રની કંપની ઈન્ડિગો (Indigo) માં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી (L&T), ટાઈટન અને ટાટા સ્ટીલના શેરમાં પણ ખરીદી નીકળી હતી. બીજી તરફ, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Donald Trump Issues:ટ્રમ્પના નિશાને ઈરાન! “અમેરિકાનો હુમલો ૨૦ ગણો ભયાનક હશે”, ઈરાનને રાષ્ટ્ર તરીકે ખતમ કરવાની આપી ધમકી.
રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ?
બજારમાં આવેલી આ તેજી છતાં નિષ્ણાતો હજુ પણ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે, તેથી બજારમાં અસ્થિરતા (Volatility) ચાલુ રહી શકે છે. જો યુદ્ધ ખરેખર જલ્દી સમાપ્ત થશે તો બજારમાં વધુ મોટી તેજી જોવા મળી શકે છે. રોકાણકારોએ અત્યારે ગુણવત્તાયુક્ત શેરોમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વૈશ્વિક સમાચાર પર નજર રાખવી જોઈએ.
