News Continuous Bureau | Mumbai
-D.K.
નિશાન ચૂક માફ.. માફ નહીં નીચું નિશાન..! ક્રુડતેલના ઉત્પાદનમાં કદાચ આપણે આત્મનિર્ભરન બની શકીએ કારણ કે કુદરતી સ્ત્રોત જ નહોય તો શું કરી શકાય ? પરંતુ બળતણ ક્ષેત્રે તો આપણે આત્મનિર્ભર બની જ શકીએ તેમ છીએ, અન્ય સ્ત્રોત નો ઉપયોગ કરીને..! આમેય તે જ્યારે ખાડી દેશોમા સલામતી જોખમાય અને વિશ્વમાં ક્યાંય પણ યુધ્ધ થાય ત્યારે કુડતેલના પુરવઠાને અસર થવાની ભીતિ સાથે ભારતને આર્થિક, રાજદ્વારી અને સુરક્ષાની દ્રશ્ટિએ ભારે સહન કરવું પડે છે. જો કે હવે ભારત સરકારે બળતણમાં ઇથેનોલનો ઉપયોગ કરવા માટેનું જે અભિયાન છેડ્યું છે તેમાં જો સફળતા મળે તો વૈશ્વિક બજારમાં સૌ ભારતને સલામ કરતા થઇ જશે.
કેન્દ્ર સરકારે ઇ-૮૫ અર્થાત પેટ્રોલમાં ૮૫ ટકા ઇથેનોલ ભેળવવાનું શરૂ કરવા માટેનું બીડુ ઝડપ્યું છે. હા આ અભિયાન મુશ્કેલ છે, પડકારોથી ભરપુર છે, પરંતુ જયારે તેમાં સફળતા મળશે ત્યારે દેશને આથિક રીતે બહુ મોટો લાભ થશે. આ અંગેનું જાહેરનામું બહાર પાડીને જે કંપનીઓને આ ક્ષેત્રમાં મુડીરોકાણ કરવું હોય તે પોતાની દરખાસ્ત સાથે સરકાર સમક્ષ પ્રસ્તાવ રાખશે, સરકાર તેના વિકળ્પોનો અભ્યાસ કરીને તેનું અમલીકરણ કરશે.
આંકડા જોઇએ તો નવેમ્બર-૨૦૨૫ માં ભારતે ૧૯૯૦ કરોડ લિટર ઇથેનોલના ઉત્પાદન સાથે પેટ્રોલમાં ૨૦ ટકા મિશ્રણનું લક્ષ્યાંક હાંસલ કર્યુ છે. જે સરકારે નક્કી કરેલી સમય મર્યાદા કરતા વહેલું હાંસલ થયું છે. ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં સાકરની મિલોએ જે ઉત્સાહ દેખાડ્યો છે તેનાથી આ સફળતા સુધી પહોંચી શકાયું છે. યાદ રહે કે ૨૦૧૩-૧૪ માં એટલે કે આશરે એક દાયકા પહેલા ભારતની ઉત્પાદન ક્ષમતા ૩૮ કરોડ લિટરની હતી જે હવે ૧૩ ગણી વધી ચુકી છે. ઇ-૮૫ નું ટાર્ગેટ પણ એક વર્ષમાં નહીં પણ કદાચ આગામી એક દાયકામાં હાંસલ થશે. જો આટલો સમય લાગે તો પણ ખોટું શું છે. અને કદાચ થોડું ઓછું રહે તો પણ ખોટું શું છે? જો ભારતને ઇ ૮૫ ના લક્ષ્યાંક સુધી પહોંચવુ હોય તો આગામી દિવસોમાં ઉત્પાદન ચાર થી પાંચ ગણુ વધારવું પડે તેમ છે.
જો એક દાયકામાં ૧૩ ગણું ઉત્પાદન વધે તો બીજા એક દાયકામાં બીજું પાંચ ગણુ ઉત્પાદન ન વધારી શકાય? ભલે અઘરું છે, પણ અશક્ય નથી. આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે અન્ય ઘણા ફેરફારો કરવા પડશે. જેમ કે દેશના વાહનોને ઇથેનોલ ઉપર દોડી શકે તેવા એન્જીનોથી સજ્જ કરવા પડશે. કૄષિ પેદાશો માંથી ઇથેનોલ બનાવવાનો હોય ત્યારે અન્ય ઉદ્યોગો અને આહારમાં તેના ઉપયોગની ખેંચ ન ઉભી થાય તેનું પણ આયોજન કરવું પડશે.
આગામી દિવસોમાં કદાચ એવું પણ બને કે દેશના માર્ગો ઉપર વિવિધ ક્ષમતાના ઇથેનોલ વાપરતા વાહનો દોડતા હશે. પેટ્રોલ પંપો ઉપર ૨૦ ટકા, ૩૦ ટકા ૫૦ ટકા કે ૮૫ ટકા ઇથેનોલના અલગ અલગ કાઉન્ટરો હશે. જે હાલમાં પેટોલ, ડિઝલ અને ગેસના અલગ હોય છે તે રીતે.
સરકાર આગામી દિવસોમાં કચરામાંથી ઇથેનોલ બનાવવા પ્લાન્ટસને પ્રોત્સાહન આપવાનું શરૂ કરશે. ફ્ળેક્સી ફ્યુલ વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું શરૂ કરાશે. બેશક અહીં ફૂડ અને ફ્યુલ વચ્ચે સંતુલન જાળવવાનું રહેશે. બળતણની સમસ્યા હળવી કરવામાં ભુખમરો આવી ન જાય તેનું ધ્યાન ખાસ રાખવાનું રહેશે.
ભારત હાલમાં ઇ ૧૦૦ ના બદલે ઇ ૮૫ નું જ લક્ષ્યાંક રાખે છે કારણ કે તેની પાછળ વિજ્ઞાન એન્જીનિયરીંગ અને ઇકોનોમીકલ મુદ્દાઓ સંકળાયેલા છે. ઇથેનોલ પેટ્રોલ કરતા જુદુ જ વર્તન કરે છે. તેની ઉર્જા ડેન્સીટી પ્રતિ લિટર આશરે ૩૦ થી ૩૫ ટકા જેટલી નીચી હોય છે. પરિણામે પ્યોર ઇથેનોલમાં બળતણની એવરેજ ઘટી શકે છે. તેથી જો પેટ્રોલ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારા પરિણામ મળી શકે છે. ખેર હજુ આ પ્રયોગમાં અનેક સંશોધનો થશે અને ફેરફારો પણ થશે. પરંતુ અંતે તો તેમા ભારતને લાભ જ થશે.
