Site icon News Continuous Bureau | Mumbai

ભારત બે દાયકામાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશેઃ અંબાણી

ફેસબૂકના સર્જક ઝુકરબર્ગે ભારતને ખાસ દેશ ગણાવ્યો, વોટ્સએપ પેમેન્ટ સેવાઓ વધુ વિસ્તારશે

 

Join Our WhatsApp Channel

નવી દિલ્હી, 15 ડિસેમ્બર

 

ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની એક મહત્વની વાતચીતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ભારતનો મધ્યમ વર્ગ જે હાલ દેશના કુલ પરિવારમાં 50 ટકા છે તે દર વર્ષે ત્રણથી ચાર ટકાના દરે વધશે. શ્રી અંબાણીએ એમ પણ જણાવ્યું કે, "હું દૃઢપણે માનું છું કે આગામી બે દાયકામાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પામશે."

 

વધારે મહત્વનું એ છે કે ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટી બનશે, જેનું સંચાલન યુવાન લોકો કરતાં હશે. "અને આપણી માથાદીઠ આવક જે અત્યારે 1800-2000 અમેરિકી ડોલર છે તે વધીને 5000 અમેરિકી ડોલર થશે," તેમ પણ તેમણે જણાવી ઉમેર્યું કે આગામી દાયકાઓમાં ઝડપી બની રહેલા સામાજિક અને આર્થિક પરિવર્તનના દૌરમાં ભાગ લેવા ફેસબૂક અને તેવા જેવી વિશ્વની અન્ય અગ્રણી કંપનીઓ પાસે ભારતમાં સ્થાન જમાવવા માટે સુવર્ણ તક છે.

 

ઝુકરબર્ગે કહ્યું હતું કે, નોંધનીય ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ ધરાવતું ભારત તેમના માટે ખાસ દેશ છે અને એટલા માટે જ તેઓ ઇચ્છે છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલી વોટ્સએપ પેમેન્ટ સેવાઓ ભારતમાં તેઓ ઊંડે સુધી વિસ્તારશે. ઝુકરબર્ગે જણાવ્યું કે, "ગત મહિને જ અમે ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સેવા શરૂ કરી છે — હવે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મેસેજ જેટલી જ સરળતાથી વોટ્સએપ પે દ્વારા રૂપિયા પણ મોકલી શકો છો. આ બધું જ UPI પેમેન્ટ સિસ્ટમના કારણે સરળ બન્યું છે જે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે."

 

તેમણે એમ પણ જણાવ્યું કે, યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI)ના કારણે અલગ અલગ એપ ઉપર પેમન્ટ સ્વીકારવાનું દરેક માટે સરળ બન્યું છે. દેશમાં પોસાય તેવી કનેક્ટિવિટી આપવાના સ્વ.ધીરુભાઈ અંબાણીના સ્વપ્નનો ઉલ્લેખ કરતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે, "આજે ભારતીયો એક પોસ્ટકાર્ડની કિંમત કરતાં પણ ઓછા ખર્ચમાં કોઈની પણ સાથે વાતચીત કરી શકે છે અને અમે મેસેજિંગ વિકસાવવામાં પણ એ જ પ્રયાસ કર્યો છે… અને આપણે સાથે મળીને પેમેન્ટ માટે પણ એવું જ કરીશું કે જેનાથી લોકો એટલી જ સરળતાથી ભારતની નવી યુપીઆઇ સિસ્ટમનો ઉપયોગ કરી શકે, જે ખરેખર બહુ જ મહાન સિદ્ધિ છે."

 

એપ્રિલ મહિનામાં જ ફેસબૂકે જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 બિલિયન અમેરિકી ડોલરનું (રૂ.43,574 કરોડ) મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. "મને એ વાતને સત્તાવાર રીતે અહીં રજૂ કરતાં જરાય ખચકાટ થતો નથી કે તમારા મૂડીરોકાણને કારણે અર્થતંત્રની ગાડી દોડી, આ માત્ર જિયો માટે મહત્વનું નથી, પરંતુ તેના કારણે ભારતમાં આવનારા વિદેશી મૂડીરોકાણ માટે પણ એટલું જ મહત્વું છે કેમ કે જેટલું વિદેશી મૂડીરોકાણ ઇતિહાસમાં ક્યારેય નહોતું આવ્યું એટલું રોકાણ આ સમયગાળામાં આવ્યું છે," તેમ શ્રી અંબાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, જિયો અને ફેસબૂક વચ્ચેની ભાગીદારી "ભારત, ભારતીયો અને ભારતના નાના વેપાર-ધંધા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે."

 

શ્રી અંબાણીએ કહ્યું કે, "માર્ક હું માનું છું કે, આવનારા વર્ષોમાં અમારું કામ અમારા શબ્દો કરતાં વધારે ઊંચા અવાજે સંભળાશે. ભારતે તમામ પ્રકારના ડિજિટાઇઝેશન સહિતની ટેક્નોલોજી માટે લીધેલા પગલાં વ્યક્તિગત અને નાના વેપાર-ધંધા માટે અસ્ક્યામતોનું લોકશાહી ઢબે વિતરણ સુદૃઢ બનાવશે અને તેમના માટે મૂલ્યનું સર્જન પણ કરશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

 

વોટ્સએપ અને જિયો ભારતમાં સેંકડો મિલિયન્સ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે તે વાતનો ઉલ્લેખ કરીને શ્રી અંબાણીએ કહ્યું હતું કે, જિયોમાર્ટની રિટેલ સેવા ભારતમાં રોજગારીનું પાયાનું સર્જન કરનારા લાખો નાના દુકાનદારોની સેવા કરવા માટે તૈયાર છે. આનો મતલબ એ થયો કે, જિયો ડિજિટલ કનેક્ટિવિટી લાવ્યું છે, વોટ્સએપ હવે વોટ્સએપ પે દ્વારા ડિજિટલ આદાન-પ્રદાન લાવ્યું છે અને તેનાથી વ્યવહારની અનુકૂળતા ઊભી થઈ છે અને મૂલ્યનું સર્જન થયું છે, અને જિયોમાર્ટે ઓનલાઇન અને ઓફલાઇન રિટેલ ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપવા તૈયાર કરાયું છે, અને તેના કારણે ભારતના ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં અસ્તિત્વ ધરાવતી નાની દુકાનોને ડિજિટાઇઝ થવાની તક મળી છે તથા વિશ્વના અન્ય કોઈપણ વ્યવસાય સાથે સરખામણી કરવાની પણ તક મળી છે."

 

જ્યારે ઝુકરબર્ગે કહ્યું હતું કે, "અમે નાના વેપાર-ધંધાને જ સેવાઓ આપીએ છીએ અને એ ભારતમાં સૌથી વધુ યથાર્થ ઠર્યું છે. આ એટલા માટે વિશેષ છે કારણ કે નાના વેપાર-ધંધા અહીં વૈશ્વિક અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવાની અને આગળ વધવાની ચાવી છે. અને અમે તેમના માટે શ્રેષ્ઠ સંસાધનો તૈયાર કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું સુનિશ્ચિત કરીએ છીએ," તેમ જણાવી ઝુકરબર્ગે ઉમેર્યું હતું કે, "ટેક્નોલોજી દરેકના ઉપયોગ માટે હોય" તેનું તેમની કંપની ખાસ ધ્યાન રાખે છે અને રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરવા પાછળનું સૌથી મોટું કારણ પણ એ જ હતું. કારણ કે રિલાયન્સ જિયોએ લાખો-કરોડો ભારતીયો સુધી ઇન્ટરનેટના લાભ પહોંચાડવા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને બળવત્તર બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી છે.

Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version