ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
મોંઘા ભાવના કાંદાથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં કાંદાના ભાવમાં રાહત મળી શકે છે. સહકારી સંસ્થા નાફેડે શુક્રવારે 15000 ટન આયાત કરેલ કાંદાની આપૂર્તિ માટે આદેશ જારી કર્યા છે અને આ સંબંધમાં બોલી લગાવનારાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. નાફેડે કહ્યું કે, આનાથી ઘરેલું બજારમાં ઉપલબ્ધતા વધશે અને કિમતો કાબુમાં રહેશે. નાફેડે કહ્યું કે 'આયાત કરેલ કાંદા બંદરગાહ ધરાવતા શહેરોમાંથી કરાશે. તેથી ઝડપી આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું છે કે, તેમને કેટલી માત્રામાં કાંદાનો સ્ટોક જોઈએ છે.
આયાત કરતી વખતે આ વેળા કાંદાની ગુણવત્તા અને કદ પર વિશેષ ભાર મૂક્યો છે. જે ભારતીય ગ્રાહકોની પસંદગી સાથે મેળ ખાય છે. ભારતમાં સામાન્ય રીતે મધ્યમ કદના કાંદા પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશી કાંદાનું કદ 80 મીમી સુધી મોટું હોય છે. ગયા વર્ષે, એમએમટીસીએ તુર્કી અને ઇજિપ્તમાંથી સીધા પીળા,ગુલાબી અને લાલ કાંદાની આયાત કરી હતી. આ વર્ષે ટૂંકા સમયમાં સારી ગુણવત્તાનના કાંદાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ખાનગી આયાતકારોને પણ ઓફર આપવામાં આવી છે..
આ દરમિયાન કાંદાના જથ્થાબંધ અને છૂટક ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી રવીના જુના સ્ટોક અને ખરીફના નવા સ્ટોક આવવાથી ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે. કાંદા બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. મંડી ભાવ મુજબ દેશના કેટલાક ભાગોમાં કાંદાના ભાવ પ્રતિ કિલો રૂપિયા 80-100 સુધી છે.
