રિલાયન્સ પહોંચ્યું કોર્ટને શરણે, જીયોના ટાવરને થનારા નુકશાનની સંદર્ભે સરકારી સંરક્ષણ માગ્યું. ખેડૂત આંદોલન થી jio ને ભયંકર નુકસાન. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

04 જાન્યુઆરી, 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી  પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે કૃત્યને સંપૂર્ણ રીતે બંધ કરાવવા માટે તાત્કાલિક સરકારી હસ્તક્ષેપ કરવાની માગણી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં થઈ રહેલા હિંસાત્મક કૃત્યના કારણે રિલાયન્સના કર્મચારીઓની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે અને મહત્વના કમ્યુનિકેશન ઇન્ફ્રસ્ટ્રક્ચર તથા વેચાણને નુકસાન પહોંચી રહ્યું છે અને પેટાકંપનીઓ દ્વારા સંચાલિત સર્વિસ આઉટલેટ્સની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે.

 

જે તત્વો તોડફોડ કરી રહ્યા છે તેમને સ્થાપિત હિતો ધરાવનારા અને વ્યાવસાયિક હરિફો દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે અને મદદ પણ કરાઈ રહી છે. રાજધાની નજીક ચાલી રહેલા કિસાન આંદોલનનો લાભ લઈને બદઇરાદો ધરાવનારા સ્થાપિત હતેચ્છુઓએ રિલાયન્સ વિરુદ્ધ અવિરત, મલિન તથા બદનામ કરવાનો ઇરાદો ધરાવતું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને કોઈ સત્યનો આધાર નથી. 

માનનીય હાઇકોર્ટ સમક્ષ અમે રજૂ કરેલા અખંડનીય તથ્યો પરથી જુઠાણાનું અભિયાન ઉઘાડું પડી જાય છે. આ તથ્યો એ વાત પુરવાર કરે છે કે દેશમાં અત્યારે ચર્ચાઈ રહેલા ત્રણેય કૃષિ કાયદા સાથે રિલાયન્સને કોઈ લેવાદેવા નથી અને તેનાથી કોઈપણ રીતે તેને લાભ થવાનો નથી. ખરેખર તો, આ કાયદા સાથે રિલાયન્સના નામને જોડવાનો એકમાત્ર નકારાત્મક હેતુ અમારા વેપાર અને અમારી શાખને નુકસાન પહોંચાડવાનો છે. 

 રિલાયન્સ રિટેલ લિમિટેડ (RRL), રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL), અથવા અમારી પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અન્ય કોઈપણ પેટાકંપનીએ ભૂતકાળમાં "કોર્પોરેટ" અથવા "કોન્ટ્રાક્ટ" ફાર્મિંગ કર્યું નથી, અને આ વેપારમાં પ્રવેશ કરવાનું અમારું કોઈ આયોજન પણ નથી.  

રિલાયન્સ કે તેની કોઈપણ પેટાકંપનીએ "કોર્પોરેટ" અથવા "કોન્ટ્રાક્ટ" ફાર્મિંગના હેતુથી પંજાબ/હરિયાણા કે ભારતમાં અન્યત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ખેતીની જમીન ખરીદી નથી. અમારું આવું કોઈ ભાવિ આયોજન પણ નથી. 

 ભારતના સંગઠિત રિટેલ વેપાર ક્ષેત્રે રિલાયન્સ રિટેલ અન્ય કોઈ સરખામણી ન કરી શકે તેવું અગ્રણી છે. તેના દ્વારા વેચવામાં આવતો માલ જેવા કે અનાજ, ખાદ્યાન્ન, ફળો અને શાકભાજી, રોજિંદા વપરાશની વસ્તુઓ, વસ્ત્રો, દવાઓ, વિવિધ બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો સ્વતંત્ર ઉત્પાદકો અને સમગ્ર દેશમાં પથરાયેલા સપ્લાયરો પાસેથી મેળવેલા હોય છે. ખેડૂતો પાસેથી સીધું અનાજ ખાદ્યાન્ન ખરીદવામાં આવતું નથી. ખેડૂતોની મજબૂરીનો લાભ લેવા માટે લાંબા ગાળાના આપૂર્તિ કરાર ક્યારેય કરવામાં આવ્યા નથી કે સપ્લાયરો ખેડૂતો પાસેથી ઓછા દરે માલ ખરીદીને સપ્લાય કરે તેવી માગણી પણ કરવામાં આવી નથી, એટલું જ નહીં ભવિષ્યમાં પણ આવું કરવામાં આવશે નહીં. 

1.3 અબજ ભારતીયોના "અન્ન દાતા" એવા ભારતના ખેડૂતો માટે રિલાયન્સને અપાર કૃતજ્ઞતા અને સવિશેષ આદર છે. રિલાયન્સ અને તેના સહયોગીઓ તેમને સમૃદ્ધ અને સશક્ત બનાવવા તમામ પ્રયાસો કરી છૂટવા કટિબદ્ધ છે. તેમની સેવાઓના ગ્રાહક તરીકે અમે સહભાગી સમૃદ્ધિ, સમાવિષ્ટ વિકાસ અને ન્યાયપૂર્ણ ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ આધારિત ભારતીય ખેડૂતો સાથે મજબૂત અને સમાન ભાગીદારી તૈયાર કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. 

તેના માટે, અનુકરણીય સખત મહેનત, નવીનતા અને સમર્પણ દ્વારા ખેડૂતો જે ઉત્પાદન મેળવે છે તેની ભારતીય ખેડૂતોને આગાહી આધારિત વાજબી અને નફાકારક કિંમતો મળે તેવી ખેડૂતોની મહેચ્છાને રિલાયન્સ અને તેના સહયોગીઓ ટેકો આપે છે. ખેડૂતોની આવક ટકાઉ ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ પામે તેવું રિલાયન્સ ઇચ્છે છે અને આ લક્ષ્ય તરફ આગળ વધવાનું કામ કરે છે. ખરેખર, અમે અમારા સપ્લાયર્સને ન્યુનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) મિકેનિઝમ, અને / અથવા ખેતી પેદાશોના કિંમત નિર્ધારણ માટેની અન્ય કોઈપણ પદ્ધતિ કે સરકાર દ્વારા નિર્ધારિત અને અમલ કરવામાં આવી શકે તેવી પદ્ધતિનું કડક પાલન કરવા માટે ભારપૂર્વક જણાવીશું. 

ભારતીય ખેડૂતોના હિતોને નુકસાન થાય તે વાત તો બહુ દૂરની છે, પરંતુ રિલાયન્સના વેપાર-વ્યવસાય ખરેખર તો તેમને અને ભારતીયોને મોટાપાયે ફાયદાકારક છે, જે નીચે જણાવેલા તથ્યો પરથી તે સ્પષ્ટ તરી આવે છે. 

1. રિલાયન્સ રિટેલે વિશાળ અર્થતંત્રના કદનું મૂડીરોકાણ કરીને અને વિશ્વ કક્ષાની ટેક્નોલોજી આધારિત સપ્લાય ચેઇન દ્વારા ભારતનો સૌથી મોટો સંગઠિત રિટેલ વેપાર તૈયાર કર્યો છે, જેનાથી ભારતીય ખેડૂતો અને ગ્રાહકોને નોંધપાત્ર ફાયદો થયો છે.  

2. જિયોનું સંપૂર્ણ 4G નેટવર્ક ભારતના દરેક ગામડામાં વિશ્વ કક્ષાની ડેટા કનેક્ટિવિટી પૂરી પાડે છે અને તે પણ સમગ્ર વિશ્વમાં ન હોય તેવા સૌથી ઓછા અને પોસાય તેવા ભાવમાં, આમ કરોડો ભારતીય ખેડૂતો સુધી ડિજિટલ ક્રાંતિના ફાયદાઓ પહોંચાડ્યા છે. માત્ર ચાર વર્ષના ગાળામાં, જિયો 40 કરોડ વફાદાર ગ્રાહકો સાથે ભારતનો સૌથી મોટો ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર બની ગયો છે. 31 ઓક્ટોબર 2020ની સ્થિતિએ, પંજાબમાં જિયોના 140 લાખ સબસ્ક્રાઇબર્સ (રાજ્યના કુલ સબસ્ક્રાઇબરમાંથી અંદાજે 34 ટકા) અને હરિયાણામાં 94 લાખ (રાજ્યના કુલ સબસ્ક્રાઇબર્સમાંથી અંદાજે 34 ટકા) સબસ્ક્રાઇબર્સ છે. જિયોએ ગ્રાહકો મેળવવા માટે કોઈપણ પ્રકારના સ્થાપિત હિતોને નકારીને ક્યારેય જબરજસ્તીના કે ગેરકાયદે પગલાં લીધા નથી. 

3. હાલ ચાલી રહેલી કોવિડ-19 મહામારી દરમિયાન, જિયોનું નેટવર્ક ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો ઉપરાંત કરોડો ખેડૂતો માટે જીવાદોરી સાબિત થયું છે. ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો ડિજિટલ વેપારમાં ભાગ લઈ શકે તે માટે જિયો મદદરૂપ પુરવાર થયું છે. લાખો લોકો ઘરે બેસીને કામ કરી શક્યા અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી શક્યા છે. શિક્ષકો, તબીબો, દર્દીઓ, અદાલતો, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી કચેરીઓ, ઉદ્યોગો અને ચેરિટેબલ સંસ્થાનોએ પણ જિયોનો ફાયદો મેળવ્યો છે. ઇમરજન્સી, ક્રિટિકલ અને જિંદગી બચાવી શકે તેવી સેવાઓ આપનારા તજજ્ઞોને પણ જિયોએ સેવાઓ આપી છે.

પંજાબ અને હરિયાણાના સત્તાધીશો અને ખાસ કરીને પોલીસનો રિલાયન્સ હૃદયપૂર્વક આભાર માને છે કે તેમણે તોફાનીઓ સામે ત્વરિત પગલાં લીધા. તેના કારણે તાજેતરના દિવસોમાં તોડફોડના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, માનનીય હાઇકોર્ટ સમક્ષ પિટિશન દ્વારા અમારી કંપની તોફાની તત્વો અને સ્થાપિત હિત ધરાવનારાઓ સામે શિક્ષાત્મક અને કડક પગલાં લેવાની માગણી કરે છે, જેનાથી રિલાયન્સ પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર તેનો વેપાર સરળતાથી કરી શકે.  

અમે લોકોને અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ સાચા તથ્યોથી અવગત થાય અને પોતાના લાભ અને ફાયદા માટે ખોટી માહિતી ફેલાવનારા તથા તથ્યવિહિન વાતો પ્રસારિત કરનારા તત્વોથી ગેરમાર્ગે દોરાય નહીં.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More