ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
આવકવેરા વિભાગ આવતા મહિનાની શરૂઆતમાં કરદાતાઓ માટે નવું ઈ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એનો ઉપયોગ ITR ફાઇલ કરવા અને અન્ય કર સંબંધિત કાર્યો માટે થઈ શકશે. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે નવું પોર્ટલ વધુ સુવિધાજનક હશે. જૂના પોર્ટલ પરથી નવા પોર્ટલ પર માઇગ્રેટ થવા માટે છ દિવસનો સમય લાગશે, જેથી 1થી 6 જૂન દરમિયાન હાલનું પોર્ટલ બંધ રહેશે.
વિભાગની સિસ્ટમ વિંગ દ્વારા બુધવારે જારી કરાયેલા આદેશમાં જાણાવ્યું હતું કે 7 જૂન સુધીમાં નવું પોર્ટલ કાર્યરત થઈ જશે. આદેશમાં અધિકારીઓને ફરિયાદની કોઈપણ સુનાવણી અથવા નિવારણ માટે ૧૦ જૂન પછી તારીખ નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ત્યાં સુધીમાં કરદાતાઓ નવી સિસ્ટમને સારી રીતે સમજી શકે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન કરદાતા અને ખાતાના અધિકારી વચ્ચે સુનિશ્ચિત થયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.
ITR વિભાગે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે “સ્થળાંતરને કારણે કરદાતાઓ 1 જૂન 2021થી હાલની વેબસાઇટ incometaxindiaefilling.gov.in પર લોગ ઇન કરી શકશે નહીં.” નવી વેબસાઇટ માટે તમે incometax.gov.inની મુલાકાત લઈ શકો છો. વિભાગે કહ્યું છે કે 7 જૂનથી બધા કરદાતાઓએ આ વેબસાઇટ પર પોતાનું કામ કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી છે. હવે કરદાતાઓ 31 મે 2021 સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે.