ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
કેન્દ્ર સરકારના સ્ટૉક લિમિટના નિર્ણયથી રોષે ભરાયેલા સોલાપુરના વેપારીઓ છેલ્લા બે દિવસથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓએ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દાળની ખરીદી બંધ કરી દીધી છે. સોલાપુરમાં ૪૫ જેટલી દાળની મિલો છે, જે આ પ્રદર્શનના કારણે બંધ છે. ઉપરાંત ૧૬ જુલાઈએ થનારા આંદોલનમાં પણ આ વેપારીઓ સહભાગી થવાના છે.
આ વિશે વધુ જણાવતાં સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાજુ રાઠીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સરકારે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર ભરેલું આ પગલું ખોટું છે. વેપારીઓને આ નીતિથી ભારોભાર નુકસાન થશે.” આ અચાનક અમલમાં મુકાયેલી સ્ટૉક લિમિટને કારણે જે વેપારીઓએ મોટા જથ્થામાં માલની આયાત કરી લીધી છે, એનું શું થશે? આ કારણે પણ વેપારીઓની ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ ભારે નુકસાન થયું છે. એવામાં આ પ્રતિબંધથી વેપારીઓની હાલાકીમાં વધારો થશે અને ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ ચિંતિત છે, કારણ કે તેઓ મોટા પાયે આયાત કરી નાના વેપારીઓને માલ પૂરો પાડે છે.
Join Our WhatsApp Community