News Continuous Bureau | Mumbai
US India Export Tariff Issue અમેરિકામાં ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાએ ભારતના મોટા નિકાસકારોની ઊંઘ ઉડાડી દીધી છે. ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણો તેમજ સીફૂડ ક્ષેત્રના વેપારીઓ સામે મોટું સંકટ આવી પડ્યું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રેડ એક્ટ 1974’ હેઠળ નવો ગ્લોબલ ટેરિફ લાગુ કરી દીધો છે, જેના કારણે ભારતીય નિકાસકારોએ અબજોની કિંમતના માલનું શિપમેન્ટ વચ્ચે જ અટકાવી દીધું છે. શરૂઆતમાં આ નવા ટેરિફનો દર ૧૦ ટકા જણાવવામાં આવ્યો હતો, પરંતુ બીજા જ દિવસે તેને વધારીને ૧૫ ટકા (15% Tariff) કરી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જ્યાં સુધી ટેક્સ સ્ટ્રક્ચર અંગે સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી ભારતીય નિકાસકારોએ સાવચેતીના પગલે પોતાના કન્ટેનરો રવાના ન કરવાનો નિર્ણય લીધો છે.
સીફૂડ અને જ્વેલરી સેક્ટર પર સૌથી મોટી અસર
આ અનિશ્ચિતતાની સૌથી વધુ અસર સીફૂડ અને જેમ્સ એન્ડ જ્વેલરી (Gems and Jewelry) ઉદ્યોગ પર પડી છે. સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, અમેરિકન ખરીદદારોની સૂચનાથી ઝીંગા (Shrimp) ની નિકાસ હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. ગયા વર્ષે ભારતની અમેરિકામાં ઝીંગાની નિકાસ ૨.૪ અબજ ડોલરની હતી. બીજી તરફ, ૧૦ અબજ ડોલરનો વેપાર ધરાવતા જ્વેલરી સેક્ટરે પણ ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે સપ્લાય ચેઈન રોકી દીધી છે.
ટ્રમ્પની નવી વ્યૂહરચનાની જોવાતી રાહ
અમેરિકાના ‘કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન’ (CBP) ની વેબસાઇટ પર નવા અપડેટની રાહ જોવામાં આવી રહી છે. વેપારીઓનું માનવું છે કે હીરાની નિકાસમાં ભારતનું વર્ચસ્વ હોવા છતાં, જો ટેરિફના દર સ્થિર નહીં રહે તો મોટું નુકસાન થઈ શકે છે. હાલમાં તમામ નિકાસકારો ટ્રમ્પની આગામી રણનીતિ પર નજર રાખી રહ્યા છે. નવા દરોને કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતને મળતો સ્પર્ધાત્મક ફાયદો પણ હવે જોખમમાં મુકાયો છે.
આ સમાચાર પણ વાંચો : PM Mark Carney India Visit: ભારતને ખુશ કરવા કેનેડાનો મોટો દાવ! પીએમ માર્ક કાર્નીના આગમન પહેલા આતંકી તહવ્વુર રાણા પર એક્શન; નાગરિકતા છીનવાશે.
કાપડ ઉદ્યોગમાં પણ ચિંતાનું મોજું
ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના મતે, અનિશ્ચિતતાના વાતાવરણમાં વેપાર ટકાવી રાખવો અશક્ય છે. અગાઉ એવી અપેક્ષા હતી કે ભારતને અન્ય દેશો કરતા વધુ ફાયદો મળશે, પરંતુ નવા ૧૫ ટકા ટેરિફ પછી હવે તમામ નિકાસકારો એક જ હરોળમાં આવી ગયા છે. નિકાસકારો હવે સરકાર પાસે આ મામલે મધ્યસ્થી કરવાની માંગ કરી રહ્યા છે જેથી ઓર્ડરો રદ ન થાય અને આર્થિક નુકસાનથી બચી શકાય.
