News Continuous Bureau | Mumbai
- જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર હતું બાળક, સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ ભર્યો જીવનમાં ‘સ્વાદ’
- અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છેઃ ડૉ, રાકેશ જોષી
Civil Hospital Ahmedabad: અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય છે. લોકોના ભરોસાને વધુ મજબૂત કરતી વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ કરી બતાવી છે. ડૉક્ટરની ટીમ દ્વારા માત્ર અઢી વર્ષના કાર્તિક પર ગેસ્ટ્રીક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને આ બાળક હવે સામાન્ય બાળકોની જેમ પોતાના મોંઢેથી ખાતું-પીતું થયું છે.
જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર બાળકને પહેલી વાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા સહિતના પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા. ભાવુક થયેલાં માતા-પિતાએ આંખમાં હરખનાં આંસુઓ સાથે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો.
ઉત્તર પ્રદેશનો અઢી વર્ષનો કાર્તિક અન્નનળી (ફૂડ પાઇપ)ની ઇસોફેજિયલ એટ્રિસિયા નામની જન્મજાત ખામીથી પીડાતો હતો. કાર્તિકના શરીરમાં જન્મથી જ અન્નનળી બનેલી જ નહોતી, એટલે એ તેના ગળામાં કાણું પાડીને ટ્યૂબ મૂકવી પડી હતી, જેથી સલીવા બહાર આવી શકે તથા હોજરી સુધી ભોજન પહોંચાડી શકાય.
આ ખામી અંગે વાત કરતાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તથા પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે ઈસોફેજિયલ એટ્રિસિયા એ 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી છે. સર્જરી સિવાય બીજો વિકલ્પ હોતો નથી. ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે, જેથી બાળક મોંઢેથી ખોરાક લઈ શકે છે, સિવિલ હોસ્પિટલમાં આ અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. અગાઉ પણ આ જ પ્રકારની સર્જરી પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલી છે, તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :Rahul Gandhi: રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ કરાવવા માગે છે; કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ
Civil Hospital Ahmedabad: જિંદગીમાં ‘સ્વાદ’ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરનાર કાર્તિકની વાત કરીએ તો મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતાં લાલમત પ્રજાપતિ અને સંજુબહેનનો પુત્ર છે. કાર્તિકનો જન્મ થયા પછી તરત તાત્કાલિક ધોરણે તેમણે ઉત્તર પ્રદેશમાં જ કોઈ ખાનગી હોસ્પિટલમાં બેથી ત્રણ લાખનો ખર્ચ કરીને ઓપરેશન કરીને ગળામાં કાણું પાડીને ટ્યૂબ મુકાવી હતી. આ ટ્યૂબ થકી જ કાર્તિકને ભોજન અપાતું અને તેનું જીવન ચાલતું હતું.
કાર્તિક પણ સામાન્ય બાળકની જેમ મોંથી ખોરાક લઈ શકે, એ માટે જરૂરી ઓપરેશન કરાવવા ખાનગી હોસ્પિટલમાં છથી આઠ લાખ ખર્ચ થાય એમ હતું. આર્થિક રીતે આટલો મોટો ખર્ચ પરિવારને પરવડી શકે એમ નહોતું. સિવિલ હોસ્પિટલમાં આવી સર્જરી કરવામાં આવે છે, એવું જાણવા મળતાં તેઓ અમદાવાદ આવ્યા.
25મી ઑગસ્ટ, 2025ના રોજ ડૉ. રાકેશ જોષી તથા તેમની ટીમના ડૉક્ટર્સ જયશ્રી રામજી, ડૉ. શકુંતલા અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. ભરત મહેશ્વરી દ્વારા અઢી વર્ષના કાર્તિક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.
સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પિરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહેતાં બાળકે જીવનમાં પહેલીવાર મોંઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.