Gandhinagar: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ઉદ્યોગ સાહસિકતા સન્માન’ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આટલા કરોડથી વધુના લાભોનું વિતરણ

Gandhinagar: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ

by khushali ladva
Gandhinagar 'Entrepreneurship Awards' program was held at Mahatma Mandir in Gandhinagar

News Continuous Bureau | Mumbai

  • કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ₹ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું
  • કાર્યક્રમ દરમિયાન GIDC ની ₹ 480 કરોડના 5 પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું, ₹ 250 કરોડની ખનીજ કિંમતના 5 માઇનિંગ લીઝના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા

Gandhinagar: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બપોરે 4.00 કલાકે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ અને ખાણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું, વિવિધ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી તેમજ વિવિધ ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ કમિશ્નર કચેરી હેઠળની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ 8278 લાભાર્થીઓને ₹1282.48 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત 28 જેટલા નવા લાભાર્થીઓને કુલ ₹1618.17 કરોડની સહાય મંજૂર કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) હેઠળ ₹480 કરોડની 5 પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કમિશ્નરશ્રી જીયોલોજી અને માઈનીંગ હેઠળ ₹250 કરોડની ખનીજ કિંમતની કુલ 5 માઈનીંગ લીઝના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા. આમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 8316 જેટલા લાભાર્થીઓને કુલ ₹3630.65 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ માનનીય લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોના પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેટલીક યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Western Railway updates: યાત્રીગણ કૃપયા ધ્યાન દે… અમદાવાદથી પ્રયાગરાજ જતી આ 10 ટ્રેન રદ; જુઓ યાદી..

Gandhinagar: કાર્યક્રમ દરમિયાન પ્રેરક ઉદ્બોધન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારત દેશ માટે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી ઘણીબધી યોજનાઓ આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’ માટે કામ કરતા કરી દીધા છે. જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે ક્વૉલિટી ઉપર તો ભાર મૂકવો જ પડે. આપણી પ્રોડક્ટ ક્વૉલિટીવાળી હોવી જ જોઇએ. ક્વૉલિટી કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકાય, તે જાણવા માટે આજે ગુણવત્તા રથયાત્રાને લીલી ઝંડી આપી છે. આ રથ દરેક ઉદ્યોગકારોને, એમએસએમઇને મળશે, તેમને તેમના ઉત્પાદનોની ક્વૉલિટી સુધારવા માટે માર્ગદર્શન આપશે. મેડ ઇન જાપાન, મેડ ઇન યુએસએની જેમ મેડ ઇન ઇન્ડિયા જોઇને લોકો ખુશ થઈ જાય, એવું આપણી પ્રોડક્ટ્સનંડ પેકેજિંગ હોવું જોઇએ.”

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, “ગઇકાલે ગુજરાત સરકારે ₹3.70 લાખ કરોડનું બજેટ આપ્યું છે, એ વિઝન છે વિકસિત ગુજરાતનું. માનનીય વડાપ્રધાનશ્રીએ વર્ષ 2047માં વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે, તે સંકલ્પને પૂરો કરવા કેવી રીતે આગળ વધવું, તે માટેનો આખો રોડમેપ આપણે તૈયાર કર્યો છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ્સમાં અગ્રેસર છે. છેલ્લા 4 વર્ષોથી સ્ટાર્ટઅપ રેકિંગ્સમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ભારતની કુલ જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને આગામી વર્ષોમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત 3 બિલિયનનું અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સહુ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવીએ.”

આ સમાચાર પણ વાંચો: Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મિત્ર દેશ ભારતને આપી ધમકી, કહ્યું- જેટલો ટેરિફ અમારા પર છે એટલો જ…

Gandhinagar: ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે, “ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લાં 20 વર્ષમાં ઉદ્યોગ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તેના કારણે ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસનું મોડેલ બન્યું છે. આજે ભારત આ મોડેલ દ્વારા સમગ્ર વિશ્વમાં આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત 33 ટકાથી પણ વધુ નિકાસ કરે છે. આજે વિશ્વની સૌથી મોટી 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 45 લાખ કરોડથી વધુના એમઓયુનું સાક્ષી બન્યું છે.”

ઉદ્યોગમંત્રીશ્રીએ ગુજરાતના દ્રઢ નેતૃત્વનો દાખલો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ માત્ર 96 કલાકમાં લાભાર્થીઓને 3500 કરોડથી વધુનો લાભ મળે એ સુનિશ્ચિત કર્યું છે. 2 વર્ષ પહેલાં જે નાના ઉદ્યોગોની સંખ્યા 13 લાખ હતી, તે આજે 20 લાખ સુધી પહોંચી છે. હું ઉદ્યોગકારોને જણાવવા માગીશ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તમારી પડખે છે. મને આશા છે કે, આપણે આવા અનેક કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’નું સપનું સાકાર કરીશું.”

માનનીય ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તમામ લોકોના સપનાં સાકાર થાય એ દિશામાં સતત કામગીરી કરી રહી છે. ગુજરાતનું નેતૃત્વ, ખાસ કરીને રાજ્યનો ઉદ્યોગ વિભાગ આપ ઉદ્યોગકારોની તકલીફો જાણીને તેને દૂર કરવામાં અને નવા વિચારો સાથે તમારી પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહ્યો છે. રાજ્ય સરકાર આજે 6500 જેટલા ઉદ્યોગોને 3500 કરોડથી વધુનો લાભ આપવા જઈ રહી છે. ગુજરાત એ માત્ર રાજ્યના જ નહીં, પરંતુ દેશભરના યુવાનો- જેઓ પોતાના પરિવાર માટે સપનાં જુએ છે, તેમના માટે કામ કરે છે. પોતાના સપનાં સાકાર કરવા માટે ગુજરાતની ધરતી પર આવતા લોકો માટે અમે પૂરી પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહ્યા છીએ.”

આ સમાચાર પણ વાંચો: ED BBC India : BBC India ઇડીની રડાર પર, BBC ઈન્ડિયાને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ: 3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી..

Gandhinagar: માનનીય લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમમાં વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ આપતાં જણાવ્યું હતું કે, “ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારતની યાત્રા શરૂ કરી છે, અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિકસિત ગુજરાતની યાત્રામાં સફળ પગલાં ભર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય પૂર્ણ કરવામાં ઉદ્યોગોનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ક્ષેત્ર આધારિત ઔદ્યોગિક પાર્કની જાહેરાત કરી છે. આજે મુખ્યમંત્રીશ્રીએ ગુણવત્તા રથ લૉન્ચ કર્યો છે ત્યારે હું એ જણાવવા માગીશ કે, ગુજરાત કદાચ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 21 કરતાં વધારે પોલિસીઓ છે. ગુજરાત સરકારે પોલિસીઓ બનાવવા ઉપરાંત, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ પણ શરૂ કરી છે. પરંતુ આ પહેલોનો મહત્તમ લાભ મેળવવા માટે દરેક ક્ષેત્રમાં ક્વૉલિટી સુનિશ્ચિત કરવી જરૂરી છે. આત્મનિર્ભર ભારત માટે, નિકાસમાં અગ્રેસર રહેવા માટે, સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ માટે, 3 બિલિયન અર્થતંત્ર સુધી પહોંચવા માટે, ક્વૉલિટી એ આવશ્યક છે. આવો, આપણે ગુણવત્તા પર ભાર મૂકીને ગુજરાતને નંબર વન બનાવીએ.”

Gandhinagar: ગુજરાત ગુણવત્તા યાત્રા 2025

ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, ગુજરાત ગુણવત્તા યાત્રા માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ગુણવત્તા રથને લીલી ઝંડી આપી હતી. કાર્યક્રમ દરમિયાન QCI (ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા) દ્વારા ગુજરાત ગુણવત્તા યાત્રા પર ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સ્પર્ધાત્મક બજારો સામે ટકી રહેવા માટે ઉદ્યોગોને તેમના ઉત્પાદનો અને સેવાઓને ટકાઉ ગુણવત્તા પ્રદાન કરવા તરફ જાગૃત કરવા અને ગુણવત્તાના આ મહત્વને ગુજરાતના તમામ ખૂણામાં કાર્યરત ઉદ્યોગકારો સુધી પહોંચાડવા માટે ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ‘ગુજરાત ગુણવત્તા યાત્રા’ ની ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે.

રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના સહયોગ તેમજ EDQC અને ક્વૉલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ગુણવત્તા યાત્રા 2025 યોજાશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગુણવત્તાના ધોરણોને વધારવાનો અને ગુણવત્તાની શ્રેષ્ઠતા વિશે રાજ્યના MSMEs અને અન્ય ઉદ્યોગોને સંવેદનશીલ બનાવવા માટે તબક્કાવાર વ્યૂહાત્મક અભિગમ અપનાવવાનો છે. 21 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ગુજરાત ગુણવત્તા યાત્રા લગભગ 50 દિવસ સુધી ચાલશે અને રાજ્યના 33 જિલ્લાઓને આવરી લેશે. આ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ‘ગુણવત્તા રથ’ રાજ્યભરના ઔદ્યોગિક એકમોની મુલાકાત લેશે અને MSME તેમજ વિવિધ ઉદ્યોગ સાહસિકોને ગુણવત્તાના મહત્વ વિશે જાગૃત કરશે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Local mega block :મુંબઈગરાઓ, રવિવારે ત્રણેય રેલવે પર રહેશે મેગા બ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા જાણો સમયપત્રક… નહીં તો થશે હેરાનગતિ

આ ગુણવત્તા યાત્રાના માધ્યમથી, વિવિધ મુદ્દાઓ જેવાંકે, ગુણવત્તા પ્રમાણપત્ર અને તેના લાભ શું છે?, ગુણવત્તાના બુનિયાદી ધોરણો પ્રાપ્ત કરવા શા માટે જરૂરી છે અને આ માટે ઉદ્યોગોએ શું ફેરફાર કરવા જરૂરી છે?, પોતાના ઉત્પાદનો માટે ગુણવત્તા પ્રમાણપત્ર અને એક્રેડિટેશન મેળવવા માટે શું ફેરફારો જરૂરી છે અને તે માટેની શું પ્રક્રિયા છે?, વગેરે તમામ મુદ્દાઓની સચોટ માહિતી, માર્ગદર્શન અને મદદ ગુજરાતના ઔદ્યોગિક એકમોને પૂરી પાડવામાં આવશે. આ યાત્રા દરમિયાન, રાજ્ય સરકારના તમામ વિભાગો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓને સાથે રાખીને તેમના વિસ્તારમાં ગુણવત્તા જાગૃતિ અંગેના સઘન પ્રયાસો કરવામાં આવશે. આ માટે અનેક પ્રોત્સાહક કાર્યક્રમો અને વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Gandhinagar:  માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા GIDC ના ₹480 કરોડના ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GIDC (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના ₹480 કરોડના વિવિધ ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓના 5 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિશ્વ કક્ષાની ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે GIDC વિવિધ વિકાસ પહેલો હાથ ધરી રહ્યું છે. આ માળખાગત કાર્યોનો ઉદ્દેશ્ય ઉદ્યોગોને સુવિધા આપવાનો, ઔદ્યોગિક પરિદૃશ્યમાં પરિવર્તન લાવવાનો અને ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવાનો છે.

Gandhinagar:  આ પાંચ પ્રોજેક્ટ્સ નીચે મુજબ છે

1. સાણંદ-2 ઔદ્યોગિક વસાહત ખાતે સ્માર્ટ માળખાકીય સુવિધાઓના વિકાસકામો

સાણંદ-૨ ઔદ્યોગિક વસાહત એ ગુજરાતનું એક સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર છે, જે એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ અને આનુષંગિક, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો સહિત વિવિધ ક્ષેત્રોના વિવિધ ઉદ્યોગો ધરાવે છે. મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓએ સાણંદ-2 માં તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના કરી છે. આ ઉપરાંત, ઘણી સેમિકન્ડક્ટર કંપનીઓએ સાણંદ GIDCમાં મોટા રોકાણો કર્યા છે. આ રોકાણોએ સાણંદને ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિનું કેન્દ્ર બનાવ્યું છે, જે ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના ધ્યેય તરફ એક ડગલું આગળ લઈ જાય છે. પરિણામે, સાણંદ GIDC એસ્ટેટનું મોટા પાયે અપગ્રેડેશન અને પરિવર્તન હાથ ધરવામાં આવ્યું છે. GIDC આધુનિક ટેક્નોલોજી અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના અમલીકરણ દ્વારા સાણંદ-2 ઔદ્યોગિક વસાહતને એક અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન ઇન્ડસ્ટ્રીઝ માટે સ્માર્ટ મોડેલ ઔદ્યોગિક પાર્કમાં પરિવર્તિત કરેલ છે. આ માટે, સાણંદ-2 સ્માર્ટ ઔધોગિક વસાહત ખાતે કુલ ₹242 કરોડના ખર્ચે અત્યાધુનિક ઘટકો જેવા કે, સ્માર્ટ વેરિયેબલ અને સ્ટેટિક સાઇનેજીસ, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ્સ, ડ્યુઅલ પાવર સોર્સ આધારિત (સોલર અને ગ્રીડ પાવર) EV ચાર્જિંગ સ્ટેશન, સ્માર્ટ વોટર મીટરની સ્થાપના, સ્ટ્રીટ લાઇટ ઓટોમેશન, CCTV સર્વેલન્સ સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક જેવી માળખાગત સુવિધાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ

2. પખાજણ ખાતે સ્થાપિત SEZ ઔદ્યોગિક વસાહત માટે ગંદા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનનું કામ

જીઆઈડીસી દ્વારા ભરૂચ જીલ્લાના, વાગરા તાલુકાના, મોજે:પખાજણ ખાતે 715 હેક્ટરમાં સ્થાપિત એસ.ઈ.ઝેડ ઔધોગિક વસાહતમાં 50 થી વધુ ઔધોગિક એકમો માટે ૨૫ એમએલડી ક્ષમતાની ટ્રીટેડ ગંદા પાણીના નિકાલ માટે આશરે 27 કી.મી. પાઈપલાઈન તેમજ આનુષાંગીક કામો સાથે જેવા કે, પંમ્પીંગ સ્ટેશન, અંડરગ્રાઉન્ડ સંપ અને પંમ્પીંગ મશીનરી સાથે ₹159 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે.ઉક્ત પાઈપલાઈન એસ.ઈ.ઝેડ પખાજણથી દહેજ-૨ વસાહત ખાતે આવેલ પંપીંગ સ્ટેશન સુધી નાખવામાં આવેલ છે ત્યાંથી સદર ગંદા પાણીનો નિકાલ દરિયાના ભાગે થશે. આ પાઈપલાઈનથી ટ્રીટેડ ગંદા પાણીના નિકાલની સુયોજીત વ્યવસ્થાને કારણે પખાજણ એસ.ઈ.ઝેડ.માં આવનાર ઔધોગિક એકમોને લાભ થશે.


3. પખાજણ ખાતે સ્થાપિત SEZ ઔદ્યોગિક વસાહત માટે રોડ અને સ્ટ્રીટ લાઇટનું કામ

જીઆઈડીસી દ્વારા ભરૂચ જીલ્લાના, વાગરા તાલુકાના, મોજે:પખાજણ ખાતે 715 હેક્ટરમાં સ્થાપિત એસ.ઈ.ઝેડ ઔધોગિક વસાહતમાં 50 થી વધુ ઔધોગિક એકમો માટે ₹29 કરોડના ખર્ચે આશરે 7.6 કી.મી. આંતરીક ડામર રોડ નેટવર્કની કામગીરી કરવામાં આવેલ છે. જેથી સદર સુયોજીત વ્યવસ્થાને કારણે પખાજણ એસ.ઈ.ઝેડ. માં આવનાર ઔધોગિક એકમોને લાભ થશે.

4. પોરબંદર ઔદ્યોગિક વસાહત ખાતે આંતરમાળખાકીય સુવિધાઓના નવીનીકરણનું કામ

નિગમની પોરબંદર ઔધોગિક વસાહત વર્ષ:-1975, હેક્ટર:- 200 ની સ્થાપના થયેલ ત્યારબાદ 50 વર્ષ જુની હયાત આંતરમાળખાકીય સુવિધાઓના નવીનીકરણની કામગીરી જેવી કે, વરસાદી પાણીના નિકાલ માટેની ગટર યોજના- 37.23 કી.મી., પાઈપલાઈન- 32.59 કી.મી., 2 લાખ લીટર ક્ષમતાની ઓવર હેડ પાણીની ટાંકી-2 નંગ, 5 લાખ લીટર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી-2 નંગ અને પંમ્પરૂમ-2 નંગ માટે ₹35ર કરોડ ના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે. આ માળખાકીય સુવિધાઓ ઉધોગોના વિકાસ માટે ફાયદાકારક રહેશે, તેમજ તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો કરશે.

5. બનાસકાંઠામાં મુડેઠા ખાતે એગ્રો ફૂડ પાર્ક

નિગમ દ્વારા બનાસકાંઠા જીલ્લાના, ડીસા તાલુકાના, મોજે મુડેઠા ખાતે એગ્રો-ફૂડ પાર્ક ૨૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલ છે. તેનાથી પ્રાદેશિક કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધનમાં વધારો કરવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે વસાહતમાં સમાવિષ્ટ 200 થી વધુ ઔધોગિક એકમો માટે ₹15 કરોડના ખર્ચે 3 કી.મી. આંતરીક ડામર રોડની માળખાકીય સુવિધાઓથી ઉધોગોના વિકાસ માટે ફાયદાકારક રહેશે, તેમજ તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો કરશે.

આ સમાચાર પણ વાંચો: Central Railway : મધ્ય રેલવેનો સપાટો, એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી દંડ સ્વરૂપે વસુલી અધધ આટલી રકમ..

Gandhinagar: CGTMSE હેઠળ મળતી લોનમાં ગેરંટી કવરેજ 90% થી 95% કરવા માટે MoU

ભારત સરકાર દ્વારા માઇક્રો અને સ્મોલ એકમોને કોલેટરલ ફ્રી લોન (જામીનગીરી મુક્ત) મળે તે માટે CGTMSE (ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ) ટ્રસ્ટની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત મળતી લોનમાં ગેરંટી કવરેજ 75% સુધી મર્યાદિત હતું. હવે, ગુજરાત સરકાર અને SIDBI વચ્ચે MoU વિનિમય થવાથી આ ગેરંટી કવરેજ 90% થી 95% થઈ જશે. આ માટે CGTMSE ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારના કોલાબોરેશનથી ₹25 કરોડનું કોર્પસ ફંડ ઊભું કરવાની દરખાસ્ત આ વર્ષના બજેટમાં નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવી છે. ₹25 કરોડના MoU થવાથી અંદાજિત ₹1250 કરોડ નો કોલેટરલ ફ્રી લોનનો પોર્ટફોલિયો ઉભો થવાની શક્યતા છે.

Gandhinagar; ઉદ્યોગસાહસિકોને ₹250 કરોડની ખનિજ કિંમતની કુલ 5 માઈનીંગ લીઝના મંજૂરીપત્રો એનાયત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં 5 ઉદ્યોગસાહસિકોને માઇનિંગ લીઝની ફાળવણી કરી. આ માટે ₹250 કરોડની ખનિજ કિંમતના કુલ 5 માઇનિંગ લીઝના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિવિધ ઉદ્યોગો અને રાજ્યના આંતરમાળાખાકીય વિકાસના પ્રોજેક્ટ માટે ખનિજ અગત્યની ભૂમિકા ભજવે છે. ખનીજની લીઝોની ફાળવણી અને વહીવટ અગત્યનો છે. ઉદ્યોગ સાહસિકો આ વિકાસયાત્રામાં ભાગ લઇ ઉત્સાહપૂર્વક રીતે જોડાઈ શકે તે માટે લીઝોની ફાળવણી ઑક્શનની પારદર્શક અને સ્પર્ધાત્મક પદ્ધતિથી કરવામાં આવે છે. ઉપરાંત, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના ભાગરૂપે, ખાનગી જમીનમાં ઝડપથી ગૌણ ખનીજની લીઝ મળે તે માટે અરજી આધારિત લીઝ આપવાની જોગવાઈ પણ રાજ્ય સરકારે કરી છે.

આ સમાચાર પણ વાંચો: Indian Navy: SAGAR વિઝન સાથે ભારત અને વિયેતનામના દરિયાઈ સુરક્ષા સહયોગમાં વધારો, ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યું

Gandhinagar: કાર્યક્રમ દરમિયાન યોજાયું સ્ટાર્ટઅપ એક્ઝિબિશન

ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ દરમિયાન મહાત્મા મંદિર ખાતે એક સ્ટાર્ટઅપ એક્ઝિબિશન પણ યોજાયું હતું, જેમાં વિવિધ સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમને રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓ હેઠળ સહાયતા પ્રાપ્ત છે તેમજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ સ્ટાર્ટઅપ સેલ હેઠળ 50થી વધુ સંસ્થાઓના નેટવર્કના માધ્યમથી તેમને ઇનક્યુબેટ કરવામાં આવ્યા છે.

આ એક્ઝિબિશનમાં લગભગ 10 સ્ટાર્ટઅપ્સે ગ્રીન એનર્જી, કચરા વ્યવસ્થાપન, પર્યાવરણીય ઉકેલો, સુખાકારી, એડટેક વગેરે ક્ષેત્રોમાં નવીન ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટાર્ટઅપના માલિકો સાથે વાતચીત કરીને તેમના ઉત્પાદનો અંગે માહિતી મેળવી હતી અને રસપૂર્વક ચર્ચા પણ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More