News Continuous Bureau | Mumbai
- ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન “માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન” કાર્યક્રમનો બીજો તબક્કો યોજાશે
- રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વધઈ એમ ચાર તાલુકાઓ ખાતે અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે
Mass Drug Distribution: આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “સામૂહિક દવા વિતરણ” કામગીરી કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઈલેરિયા રોગ નિર્મુલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫થી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં, નર્મદાના નાંદોદ અને ડેડીયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વધઈ એમ ચાર તાલુકાની અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
‘સ્વસ્થ નાગરિક – સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જે સૂત્રને સાર્થક કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ટી.બી. અને પોલિયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે ફાઈલેરિયા એટલે કે ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન “માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન” એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ચાર તાલુકાના કુલ ૫.૪૬ લાખ નાગરિકોને ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ નામની દવા આરોગ્ય કાર્યકર-દવા વિતરક દ્વારા રૂબરૂમાં ગળાવવામાં આવશે. જ્યારે, બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બિમાર વ્યક્તિ અને પ્રસૂતિના એક અઠવાડિયા સુધીની ધાત્રી માતાઓને આ દવા ગળાવામાં આવશે નહિ.
આ સમાચાર પણ વાંચો: AIF: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ AIFનું સફળ અમલીકરણ થયું, ગુજરાતમાં ૩,૫૦૦ કૃષિ પ્રોજેક્ટ્સ માટે આટલા કરોડની સહાય મંજૂર
Mass Drug Distribution: આ અભિયાન અંતર્ગત તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન ઉપર્યુક્ત તાલુકા વિસ્તારની તમામ ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે. વધુમાં જાહેર સ્થળો ખાતે ૫૬ જેટલા બુથ ગોઠવીને પણ રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે. આ અભિયાન દરમિયાન અને અભિયાન પૂર્ણ થયા બાદ ૩ મેડિકલ કોલેજની ટીમ મારફતે વ્યક્તિગત મુલ્યાંકન પણ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાથીપગો એટલે કે ફાઇલેરીયાએ “લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ” કૃમિથી થતો રોગ છે. સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાતા આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ૬ થી ૮ વર્ષ બાદ આ રોગના લક્ષણો જેમ કે, લસિકા ગ્રંથીઓ-લસિકા વાહિનીઓ ફૂલી જવાથી હાથ-પગમાં સોજો આવવો અથવા પુરૂષોમાં હાઈડ્રોસીલ-વધરાવળ જોવા મળે છે. હાથીપગા રોગના જીવાણુઓ રાત્રિના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્રની ટીમ દ્વારા ફિલ્ડમાંથી રાત્રે ૮ થી ૧૨ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપીને ચેપ ફેલાતો અટકાવવા માટે પગલાં લેવામાં આવે છે, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed