News Continuous Bureau | Mumbai
Andheri West Burglary Case મુંબઈના અંધેરી (પશ્ચિમ) વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી ₹૫૦ લાખની મતાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો આંબોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. વિન્ટેજ કારનો વ્યવસાય કરતા વેપારીના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ હીરાના સેટ અને કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ૩ રીઢા ગુનેગારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદી ૬૫ વર્ષીય વેપારી ફોર બંગલોઝ વિસ્તારમાં ટીચર કોલોનીમાં રહે છે. તેઓ પરિવાર સાથે પુત્રના લગ્ન માટે પેલેસ બુક કરવા જયપુર ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ બંગલાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચાર કબાટના લોક તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે તેમના કર્મચારીએ ઘર ખોલ્યું ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
સીસીટીવી ફૂટેજથી ખુલી તસ્કરોની પોલ
ચોરીની ફરિયાદ મળતા જ આંબોલી પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. સોસાયટી અને આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ જોવા મળી હતી. પોલીસે ટેકનિકલ ડેટા અને બાતમીદારોની મદદથી જાળ બિછાવી સૌથી પહેલા એક આરોપીની અટકાયત કરી હતી, જેની પૂછપરછમાં અન્ય બે સાથીદારોના નામ ખુલ્યા હતા.
બંધ ઘરોને ટાર્ગેટ કરવામાં માહેર છે ગેંગ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેઓ ખાસ કરીને એવા ઘરોને નિશાન બનાવે છે જે લાંબા સમયથી બંધ હોય. તેઓ રેકી કરીને નક્કી કરતા હતા કે કયા ઘરમાં પરિવાર હાજર નથી. આ કેસમાં પણ તેઓએ વેપારી બહારગામ ગયા હોવાની ચોક્કસ માહિતી બાદ જ હાથ સાફ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Farmer Loan Waiver 2026: મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી? સરકારે મંગાવી ખેડૂતોની વિગતો, બજેટ સત્રમાં થઈ શકે છે મોટી ઘોષણા
₹૫૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ
તસ્કરો હીરાના સેટ, સોનાના ઘરેણાં અને મોંઘીદાટ વિદેશી ઘડિયાળો સહિત કુલ ₹૫૦ લાખની મતા ચોરી ગયા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં ચોરી થયેલો તમામ મુદ્દામાલ ક્યાં છુપાવ્યો છે અથવા કોને વેચ્યો છે તે અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે જેથી વેપારીની કિંમતી મતા પરત મેળવી શકાય.
