News Continuous Bureau | Mumbai
મુંબઈના ભાંડુપ વિસ્તારમાં માત્ર સામાન્ય બોલાચાલીમાં એક ૨૩ વર્ષીય યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નાહુરના રહેવાસી યુવકની મેનન કોલેજ પાસે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ જઘન્ય અપરાધ આચરીને ભાગી છૂટેલા આરોપીને મુંબઈ પોલીસે જાલના જિલ્લામાંથી શોધી કાઢી જેલભેગો કર્યો છે. ઘટનાની વિગતો મુજબ, મૃતક યુવક તેના મિત્રો સાથે મેનન કોલેજ પાસે ઉભો હતો, ત્યારે ત્યાંથી પસાર થતા એક શખ્સ સાથે તેને કોઈ સામાન્ય બાબતે બોટલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધ્યો કે આરોપીએ આવેશમાં આવીને પોતાની પાસે રહેલી છરી વડે યુવક પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને ફોર્ટિસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
પાંચ પોલીસ સ્ટેશનોની સ્પેશિયલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
હત્યાની ગંભીરતાને જોતા કાંજુરમાર્ગ પોલીસની આગેવાનીમાં પંતનગર, નવઘર, વિક્રોલી અને ઘાટકોપર પોલીસની સંયુક્ત સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી અને ટેકનિકલ ડેટા તપાસતા માલૂમ પડ્યું કે આરોપી મુંબઈ છોડીને જાલના તરફ ભાગ્યો છે. મોબાઈલ લોકેશનના આધારે પોલીસે જાલનાના બદનાપુરમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Vidyavihar Hit-and-Run tragedy: વિદ્યાવિહાર હિટ-એન્ડ-રન: ૧૦ દિવસના સંઘર્ષ બાદ ૩૩ વર્ષીય યુવકનું મોત, માસૂમ દંપતીનો પરિવાર વેરવિખેર; પત્ની હજુ પણ વેન્ટિલેટર પર.
“પૂર્વઆયોજિત નહોતી હત્યા” – આરોપીની કબૂલાત
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે તેની મૃતક સાથે કોઈ જૂની અદાવત નહોતી. રસ્તા પર ચાલતા-ચાલતા થયેલી બોલાચાલીમાં તેને અચાનક ગુસ્સો આવી ગયો હતો અને તેણે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ તેજ કરી છે.