ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોનાનો ચેપ હવે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલની ઓફિસ સુધી પહોંચી ગયો છે. કમિશનરની ઓફિસનું તમામ કામકાજ સંભાળનારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચંદ્રશેખર ચૌરેને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેથી કમિશનરને પણ ચેપ લાગવાનું જોખમ જણાતા પાલિકાના મુખ્યાલયના અધિકારીઓનું ટેન્શન વધી ગયું છે.
મુંબઈમાં કોરોનાની પહેલી લહેર શરૂ થઈ હતી ત્યારે મે 2020માં ઈકબાલસિંહ ચહલના હાથમાં મુંબઈ મહાનગરપાલિકાની કમાન સોંપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં કોરોનાની પહેલી અને બીજી લહેરને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. જોકે કોરાનાની ત્રીજી લહેરના આગમનની સાથે જ કમિશનરની ઓફિસ સુધી કોરોના પહોંચી ગયો છે. ડેપ્યુટી કમિશનર ચંદ્રશેખર ચૌરેનો મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ રજા પર છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરથી કમિશનર ફિલ્ડ પર ભાગ્યે જ જતા હતા. મોટાભાગની મિટીંગ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કરતા હતા. ગુરુવારે તેઓ ઓફિસમાં આવ્યા હતા, જોકે અગત્યની બેઠક અટેન્ટ કરી તરત નીકળી ગયા હતા. શુક્રવારે થનારી ટ્રી ઓથોરિટીની બેઠક પણ તેમણે મોકૂફ કરાવી છે. ટ્રી ઓથોરિટીના તેઓ અધ્યક્ષ છે. તેઓએ તબિયત સારી ન હોવાનું કારણ આપ્યું છે. જોકે છેલ્લા બે દિવસથી તેમને પણ શરદી થઈ હોવાની અફવા ફેલાઈ છે. હજી સુધી જોકે પાલિકા પ્રશાસન તરફથી કોઈ ચોખવટ કરવામાં આવી નથી.