ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈના રાજકારણમાં હંમેશાંથી પરપ્રાંતીયોનો મુદ્દો ગરમ રહ્યો છે. પરપ્રાંતીયોને કારણે સ્થાનિક રહેવાસીઓની રોજગારી છીનવાય છે અને ગુનેગારીનું દૂષણ વધતું હોવાનો આરોપ હંમેશાંથી રાજકીય પાર્ટીઓ કરતી આવી છે. એમાં હવે સાકીનાકા બળાત્કાર પ્રકરણ બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરપ્રાંતીયીઓને લઈને કરેલી ટિપ્પણીને પગલે મુંબઈમાં ફરી એક વખત પ્રાંતવાદનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
સાકીનાકા બળાત્કાર પ્રકરણ બાદ પોલીસ સાથેની બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પરપ્રાંતીય લોકો બાબતે અહેવાલ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુનેગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અન્ય રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવનારા અને જનારા તમામ પરપ્રાંતીયોનાં રજિસ્ટ્રેશન થવાં જોઈએ. તેઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની નોંધ રાખવી આવશ્યક થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિમાર્ણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે શરૂઆતથી પરપ્રાંતીયોનો મુદ્દો ચગાવતા આવ્યા છે. પરપ્રાંતના લોકો મહારાષ્ટ્રમાં આવીને સ્થાનિક લોકોની રોજગારી છીનવી લેતા હોય છે અને ગુનેગારીનું પ્રમાણ પણ તેમના કારણે વધી જતું હોય છે એવા આરોપ સાથે તેમના પક્ષે અનેક વખત આંદોલન પણ કર્યાં છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા સમયથી ગુનેગારીનું પ્રમાણ વધી ગયું છે. એમાં પણ મહિલાઓ પર અત્યાચારના બનાવ વધી ગયા છે, ત્યારે મુખ્ય પ્રધાને પરપ્રાંતીય લોકોને લઈને કરેલે વિધાનથી ભાજપ તેમની પર તૂટી પડ્યું છે. ભાજપે મુખ્ય પ્રધાનના આ નિવદેનને સમાજમાં તણાવ નિર્માણ કરનારું ગણાવ્યું હતું.