ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર.
માયાનગરી મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં નવા કેસોમાં ઘટાડાની સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધુ છે. શહેરમાં શુક્રવારે કોરોનાના 1,312 નવા દર્દીઓ મળી આવ્યા છે. જે ગઈ કાલ કરતા પણ ઓછી છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,312 નવા કેસ આવ્યા તેમજ 10 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,043,059 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,591 થઈ ગયો છે. આ દરમિયાન 4,990 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 1,009,374 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ વધીને 97 ટકા થયું છે.
મુંબઈમાં ગુરુવારે 27,720 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1,312 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 193 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,089 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 575 બેડમાંથી માત્ર 2,652 બેડ નો ઉપયોગ થયો છે.
શહેરમાં 20 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 14,344 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 156 દિવસ થયો છે.