News Continuous Bureau | Mumbai
Maratha Reservation: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા નેતા મનોજ જરાંગે પાટીલ ની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. આ પછી તેમણે મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલું પોતાનું ઉપવાસ આંદોલન સમાપ્ત કર્યું. જરાંગેની આઠ મુખ્ય માંગણીઓમાંથી છ માંગણીઓને સરકારે મંજૂરી આપી છે, જેમાં તાત્કાલિક અમલમાં આવતા ‘હૈદરાબાદ ગેઝેટિયર’ સંબંધિત જી.આર. પણ સામેલ છે. મરાઠા સમાજને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પડદા પાછળ રહીને એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસની પડદા પાછળની ભૂમિકા
આ આંદોલનને સફળતાપૂર્વક ઉકેલવા માટે દેવેન્દ્ર ફડણવીસે અનેક પ્રયાસો કર્યા. તેમણે પડદા પાછળ રહીને સતત કાયદાકીય સલાહ લીધી. રાજ્યના મહાધિવક્તા અને મરાઠા આરક્ષણ મંત્રીમંડળ ઉપસમિતિ સાથે તેમણે ચાર બેઠકો યોજી હતી. મનોજ જરાંગેની માંગણીઓને ધ્યાનમાં રાખીને એક મજબૂત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. દરેક નિર્ણયનો જી.આર. પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યો હતો, અને સંપૂર્ણ તૈયારી પછી જ મંત્રીમંડળ ઉપસમિતિને મનોજ જરાંગે સાથે વાટાઘાટો માટે મોકલવામાં આવી હતી. આ ડ્રાફ્ટ એટલો સચોટ હતો કે મનોજ જરાંગેએ તેને પહેલી જ બેઠકમાં સ્વીકારી લીધો અને વાટાઘાટોનો કોઈ લાંબો દોર ચાલ્યો નહીં. આ સમગ્ર આંદોલન દરમિયાન ફડણવીસ વ્યક્તિગત રીતે ટીકાઓનો ભોગ બન્યા, પરંતુ તેમણે સંયમ જાળવ્યો અને પોતાનું ધ્યેય માત્ર સમાજને ન્યાય આપવાનું જ રાખ્યું. તેમણે કહ્યું કે સમાજને ન્યાય આપતી વખતે બે સમાજ વચ્ચે તણાવ ન વધે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : SCO Summit: ચીન પ્રવાસે વડાપ્રધાન ગયા એકલા… SCO સંમેલન માં વિદેશ મંત્રી ની ગેરહાજરી એ ઉભા કર્યા સવાલ, જાણો શું હતું કારણ?
મનોજ જરાંગેની કઈ માંગણીઓ સ્વીકારાઈ?
સરકારે મનોજ જરાંગેની ઘણી મુખ્ય માંગણીઓ સ્વીકારી છે. જેમાં, ‘હૈદરાબાદ ગેઝેટ’ (Hyderabad Gazette) ના અમલ માટે શાસનનો નિર્ણય લેવાયો, આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોના વારસદારોને આર્થિક મદદ અને સરકારી નોકરી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંદોલનકારીઓ પરના કેસ પાછા ખેંચવા અને જાતિ ચકાસણી સંબંધિત પડતર અરજીઓને મંજૂરી આપવાની માંગણી પણ સ્વીકારવામાં આવી છે. જોકે, કેટલીક માંગણીઓ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ‘સાતારા ગેઝેટ’ ના અમલ માટે 1 મહિનાની મુદત અને મરાઠા-કુણબીને એક ગણવા માટે 2 મહિનાની મુદત આપવામાં આવી છે.
‘હૈદરાબાદ ગેઝેટ’ શું છે?
‘હૈદરાબાદ ગેઝેટ’ (Hyderabad Gazette) એટલે 1918માં તત્કાલીન હૈદરાબાદ નિઝામશાહી સરકારે બહાર પાડેલો આદેશ. તે સમયે હૈદરાબાદ રાજ્યમાં મરાઠા સમાજ બહુસંખ્ય હતો, પરંતુ તેમને સત્તા અને નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નહોતું. તેથી નિઝામ સરકારે મરાઠા સમાજને ‘હિન્દુ મરાઠા’ ના નામથી શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ ઐતિહાસિક પુરાવાને મરાઠા સમાજના આરક્ષણની લડતમાં હંમેશા ટાંકવામાં આવે છે. આ જી.આરમાં, કુણબી જાતિના પ્રમાણપત્ર મેળવવાની ચોક્કસ પ્રક્રિયા પણ જણાવવામાં આવી છે, જે અંતર્ગત જમીન સંબંધિત પુરાવા અથવા શપથપત્ર અને સંબંધિત વ્યક્તિના પ્રમાણપત્રના આધારે અરજદારોને કુણબી જાતિનો દાખલો આપવામાં આવશે.