ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
નાલાસોપારા પૂર્વમાં આવેલા તુલિંજના બિલાલપાડા વિસ્તારમાંથી હેરાન કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના પાણીના નિકાલ માટે ઠેકઠેકાણે ગટરનાં ઢાકણાં ખુલ્લાં મુકાયાં હતાં. હવે આના કારણે એક નાના બાળકનો જીવ હોમાયો છે. રવિવારે સવારે ચાર વર્ષનો અનમોલ સિંહ ઘરેથી બહાર નીકળ્યો હતો અને રહસ્યમય રીતે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો.
આ ઘટના બની ત્યારે બાળકની માતા કિચનમાં રસોઈ બનાવતી હતી, તો પિતા બીજા રૂમમાં હતા એથી બાળક ક્યારે ઘરની બહાર નીકળી ગયું એની જાણ રહી નહિ. તેનાં માતા-પિતાએ બાળકની શોધખોળ શરૂ કરી હતી ત્યારે તેમના ધ્યાનમાં આ ખુલ્લી ગટર આવી હતી દંપતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડે તેની શોધ શરૂ કરી દીધી હતી.
પોલીસ કન્ટ્રોલ રૂમના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે બાળકની લાશને બાદમાં ગટરમાંથી બહાર કાઢી પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે આ અંગે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.