News Continuous Bureau | Mumbai
આજે મહારાષ્ટ્રભરમાં ગુડી પડવાના પર્વ નિમિત્તે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાડા ત્રણ મુહૂર્ત પૈકીના એક એવા આ મરાઠી નૂતન વર્ષની શરૂઆત રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાઓ સાથે કરવામાં આવી છે. નાગપુરમાં આયોજિત ભવ્ય શોભાયાત્રામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહભાગી થયા હતા, જ્યારે થાણેમાં આયોજિત યાત્રામાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે એ હાજરી આપી રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.
નાગપુરમાં સામૂહિક રામરક્ષા પાઠ અને ભગવામય માહોલ
નાગપુરમાં આયોજિત ઉત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, આ આપણું નવું વર્ષ છે અને આપણે નવા સંકલ્પ સાથે આગળ વધવાનું છે. આ પ્રસંગે સામૂહિક રામરક્ષા પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફડણવીસે ઉમેર્યું કે આ ગુડી ભારતની પ્રગતિની ગુડી છે, જે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. સમગ્ર નાગપુર અત્યારે પારંપરિક વેશભૂષા અને ભગવા ધ્વજથી ગુંજી ઉઠ્યું છે.
આ સમાચાર પણ વાંચો : LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
ડોંબિવલીમાં પરંપરા અને આધુનિકતાનો સંગમ
ડોંબિવલીમાં નીકળેલી સ્વાગત યાત્રામાં આ વર્ષે પણ મહિલા રાઈડર્સનો જલવો જોવા મળ્યો હતો. નવવારી સાડી અને નાકમાં નથ પહેરીને મોટરસાઈકલ પર ગુડી લહેરાવતી મહિલાઓએ પરંપરાને આધુનિકતા સાથે જોડી હતી. નવી પેઢી દ્વારા પરંપરાનું જતન જે રીતે કરવામાં આવી રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. થાણેમાં કોપીનેશ્વર મંદિરથી પાલખી સોહળાની શરૂઆત થઈ હતી, જેમાં રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
તુલજાભવાની અને વિઠ્ઠલ મંદિરમાં વિશેષ પૂજા
મહારાષ્ટ્રની કુલસ્વામિની આઈ તુલજાભવાની ના મંદિરમાં પરંપરા મુજબ શિખર પર ગુડી ચઢાવવામાં આવી હતી. દેવીને શિવકાલીન આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા અને વહેલી સવારે ૪ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. બીજી તરફ, પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં પણ દેશી-વિદેશી ફૂલોનું આકર્ષક સુશોભન (Decoration) કરવામાં આવ્યું છે. નવા વર્ષના દર્શન કરવા માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.