News Continuous Bureau | Mumbai
Lodha Developers Fraud:મુંબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની લોઢા ડેવલપર્સ લિમિટેડ સાથે થયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના પનવેલ અને શહાપુર તાલુકામાં આવેલી અંદાજે ₹271.48 કરોડની સ્થાવર મિલકતો (જમીન) પ્રોવિઝનલી જપ્ત કરી છે. આ કેસના મુખ્ય આરોપી રાજેન્દ્ર નરપતમલ લોઢા હાલ જેલમાં બંધ છે અને તેમની સામે તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે.
સત્તાનો દુરુપયોગ અને નકલી દસ્તાવેજો દ્વારા છેતરપિંડી
EDની તપાસમાં બહાર આવ્યું છે કે રાજેન્દ્ર લોઢાએ લોઢા ડેવલપર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જાણકારી કે મંજૂરી વગર કંપનીની માલિકીની કિંમતી જમીનો ખૂબ જ નજીવી કિંમતે પોતાના અંગત મળતિયાઓ અને ડમી કંપનીઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આટલું જ નહીં, જમીન ખરીદીના સોદામાં ઊંચા ભાવના નકલી MoU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) તૈયાર કરવામાં આવ્યા હતા. આ નકલી વ્યવહારો દ્વારા વધારાની રકમ રોકડમાં પરત મેળવીને કંપનીના ફંડની મોટી ઉચાપત કરવામાં આવી હતી.
દરોડા અને કરોડોની સંપત્તિ ફ્રીઝ કરવાની કાર્યવાહી
આ કૌભાંડની તપાસના ભાગરૂપે EDએ નવેમ્બર 2025માં મુંબઈના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે સમયે તપાસ એજન્સીએ ₹88 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી હતી. તાજેતરમાં પનવેલ અને શહાપુરની જમીનો જપ્ત કર્યા બાદ, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ જપ્ત થયેલી સંપત્તિનો આંકડો ₹359.48 કરોડ પર પહોંચ્યો છે. ED મુજબ, આ સમગ્ર પ્રક્રિયા મની લોન્ડરિંગ દ્વારા મેળવેલી ‘પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ’ ને રોકવા માટે કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
PMLA હેઠળ કડક કાયદાકીય ગાળિયો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજેન્દ્ર નરપતમલ લોઢા અને અન્ય સહયોગીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ ચાલુ રહેશે. આરોપીઓએ કંપનીના રોકાણકારો અને હિસ્સેદારો સાથે વિશ્વાસઘાત કરીને અંગત સ્વાર્થ માટે કંપનીની અસ્કયામતોનો દુરુપયોગ કર્યો છે. જપ્ત કરાયેલી મિલકતો હવે કાયદાકીય પ્રક્રિયા હેઠળ રહેશે અને ટૂંક સમયમાં સ્પેશિયલ કોર્ટમાં આ અંગે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
Join Our WhatsApp Community