News Continuous Bureau | Mumbai
Mumbai Hotel Gas Crisis મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતના જનજીવન અને અર્થતંત્ર પર સીધી રીતે દેખાવા લાગી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેસ સપ્લાયમાં ભારે ઘટાડો થવાને કારણે હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હોટલ એસોસિએશન ‘આહાર’ (AHAR) ના જણાવ્યા અનુસાર, ગેસની અછતને કારણે મુંબઈની ૨૦% હોટલો અત્યાર સુધીમાં બંધ થઈ ચૂકી છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો સપ્લાય જલ્દી પુનઃસ્થાપિત નહીં થાય તો આગામી ૨ દિવસમાં ૫૦% જેટલી હોટલો પર તાળા લાગી શકે છે.જોકે, એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે હોટલો બંધ રાખવાનો કોઈ આદેશ અપાયો નથી, પરંતુ ગેસ વગર રસોડું ચલાવવું અશક્ય હોવાથી હોટલ માલિકો સ્વેચ્છાએ બંધ પાળી રહ્યા છે. આ અછતને રોકવા માટે સરકારે તેલ રિફાઇનરીઓને LPG નું ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ હજુ ગંભીર છે. રેસ્ટોરન્ટ્સમાં અત્યારે માત્ર ૨ દિવસ ચાલે તેટલો જ સ્ટોક હોવાનું સામે આવ્યું છે.
ચેન્નાઈમાં પણ હાહાકાર, પીએમ મોદીને પત્ર લખી માંગી મદદ
મુંબઈની જેમ ચેન્નાઈ (Chennai) હોટલ એસોસિએશને પણ એલપીજી સિલિન્ડરોની ભારે અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સંકટના ઉકેલ માટે એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મદદ માંગી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફૂડ ઇન્ડસ્ટ્રી (Food Industry) હોસ્પિટલો, આઈટી પાર્ક્સ અને કોલેજ હોસ્ટેલો માટે ભોજનનો મુખ્ય સ્ત્રોત છે. કોમર્શિયલ ગેસ સપ્લાય પરના કામચલાઉ પ્રતિબંધને કારણે આ તમામ સેવાઓ ખોરવાઈ શકે છે.
જનતા પર શું અસર પડશે?
હોટલો બંધ થવાથી માત્ર બિઝનેસ પર જ નહીં, પરંતુ સામાન્ય જનતા પર પણ તેની ગંભીર અસર પડશે. ખાસ કરીને ટ્રેન મુસાફરો, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને બેચલર નોકરીયાત વર્ગ કે જેઓ બહારના ખાવા પર નિર્ભર છે, તેમને ભારે અસુવિધા થશે. ચેન્નાઈ હોટલ એસોસિએશનના પ્રમુખ એમ. રવિએ જણાવ્યું કે સ્થિતિ ખૂબ જ નાજુક છે અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
સરકારની એક્શન અને ભાવ વધારાનો ખતરો
મિડલ ઈસ્ટ તણાવને પગલે તેલના ભાવો વધવાની સાથે સપ્લાય ચેઈન ખોરવાતા સરકાર હવે ‘એક્શન મોડ’માં આવી છે. ગેસની અછતને પહોંચી વળવા માટે કોમર્શિયલ સપ્લાય પર નિયંત્રણો મૂકીને ઘરેલું ગેસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જોકે, આને કારણે બજારમાં ગેસના કાળાબજાર અને તૈયાર ભોજનના ભાવમાં વધારો થવાની શક્યતા છે. મુંબઈના રહેવાસીઓ હવે આશા રાખી રહ્યા છે કે સરકાર અને એજન્સીઓ વચ્ચેનું સંકલન જલ્દી સુધરશે અને હોટલો ફરી ધમધમતી થશે