ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર .
મહારાષ્ટ્ર માં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન, રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં વધઘટ જારી છે. મુંબઈમાં ગઈ કાલે એટલે કે શુક્રવારે 11 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 9 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 11,317 નવા કોરોના કેસ નોંધાયા છે અને 9 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,81,306 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,435 થઈ ગયો છે. આ દરમિયાન 22,073 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 8,77,884 પર પહોંચી ગઈ છે અને મુંબઈનો રિકવરી રેટ વધીને 89 ટકા થયો છે. મુંબઈમાં હાલમાં 84,352 સક્રિય દર્દી છે.
રાજધાની મુંબઈમાં ગુરુવારની તુલનામાં આજે મુંબઈમાં થોડા ઓછા કેસ જોવા મળ્યા છે. ગુરુવારે 13,702 કેસ મળી આવ્યા હતા. શુક્રવારે 54 હજાર 924 ટેસ્ટ બાદ 11 હજાર 317નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 9,506 દર્દીઓ એસિમ્પટમેટિક છે અને દિવસ દરમિયાન 800 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 88 દર્દીઓને ઓક્સિજન બેડની જરૂર પડી હતી.
ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.