News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરની આરાધ્ય દેવી, એટલે કે મુંબા દેવી ( Mumbadevi ) મંદિરની તસવીર બદલવા જઈ રહી છે. મુંબાદેવી મંદિર શહેરનું સૌથી પૌરાણિક મંદિર છે અને આ શહેરની ઓળખ પણ છે. મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ 400 વર્ષ જૂના મુંબા દેવી મંદિર વિસ્તારનું નવનિર્માણ કરવાની યોજના બનાવી છે. પાલિકાએ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની તર્જ પર સુધારા માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રોજેક્ટને મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પાલક મંત્રી દીપક કેસરકરનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. મંગળવારે પાલિકા દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા બાદ કેસરકરે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
આ નવનિર્માણ યોજના હેઠળ 30 લાઇસન્સ અને 190 અનધિકૃત હોકર્સને મુંબાદેવી મંદિરની આસપાસથી ખસેડવામાં આવશે, જેથી આ પરિસર વારાણસી જેવો દેખાય. મંદિર પરિસર તમામ દિશામાંથી દેખાશે અને હાલ થતા ટ્રાફિક જામથી પણ મુક્ત થશે.
મંદિરમાં આવા ફેરફારો થશે
મુમ્બા દેવી મંદિરમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા અને મૂર્તિની દુકાનો સાથેનું બજાર સહિત અનેક નાગરિક-મૈત્રીપૂર્ણ સુવિધાઓ હશે. BMC વતી, એવું કહેવામાં આવ્યું છે કે, આ યોજનામાં મંદિર પરિસરની અંદર અને બહારની દુકાનો શામેલ હશે, જેમાં એક સમાન ડિઝાઇન અને રંગ કોડિંગ હશે. ફેરિયાઓને અલગ કરાશે અને તેમને મુંબાદેવી રોડથી દૂર નિર્ધારીત જગ્યામાં બેસવા દેવાશે. તો ભક્તો સુવિધા માટે માટે વોકવે, એસ્કેલેટર, પહોળા રસ્તા અને પોલીસ પેટ્રોલિંગ માટે જગ્યાનો સમાવેશ કરાયો છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : મેટ્રોનું ઉદ્ઘાટન થયું, મુંબઈવાસીઓ આજથી મેટ્રોમાં કરી શકશે મુસાફરી.. જાણો ટિકિટ દર શું હશે? કેટલો સમય બચશે?
આ રસ્તાઓને પહોળા કરવામાં આવશે
ત્રણ રસ્તા મુંબા દેવીમાંથી પસાર થાય છે – મંદિરના પ્રવેશદ્વાર પર તાંબા કાટા રોડ, અંદરના પ્રવેશદ્વાર તરફ જતો કાલબાદેવી રોડ અને મુંબા દેવી રોડ, જે માત્ર રાહદારીઓ માટે છે. આ રસ્તાને પહોળો કરાશે. બીએમસીના એક અધિકારીએ કહ્યું છે કે ડિઝાઇન મંદિરની કારીગરી સાથે સુસંગત રહેશે. નોંધપાત્ર વાત એ છે કે, મુંબા દેવી મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણા સમયથી સુધારાની માંગ કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને BMCએ હવે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે.