ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાનું વેરિઅન્ટ ઓમિક્રોન જે ઝડપે વધી રહ્યું છે, તે જોઈને લાગે છે કે હવે અહીં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મુંબઈમાંથી ડરાવનાર આંકડા સામે આવી રહ્યા છે. શહેરમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને તેના નિયંત્રણ માટે મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ અને ઈમારતોને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મુજબ જો કોઈ પણ ફ્લોર પર કોરોના સંક્રમિત દર્દી જોવા મળે છે તો આખો ફ્લોર સીલ કરી દેવામાં આવશે. જો કોઈ બિલ્ડિંગમાં 10થી વધુ કેસ જોવા મળે છે અથવા 20 ટકાથી વધુ ઘરોમાં કોરોના કેસ છે તો સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવશે.
આવી ઈમારતોમાં કોરોનાગ્રસ્ત દર્દી અને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હોમ આઈસોલેશનના નિયમ સખ્તાઈ પૂર્વક પાળવાના રહેશે. જે ફ્લોર પર કોરોનાના કેસ જોવા મળશે તે ફ્લોર પરના ઘરોની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. જ્યાં કોરોના સંક્રમણના કેસ જોવા મળશે તેના ઉપરના અને નીચેના માળે રહેતા લોકોએ પાંચમા અને સાતમા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે.
ક્વોરન્ટાઈનના નવા નિયમો હેઠળ અસર ગ્રસ્ત દર્દીએ ઓછામાં ઓછા 10 દિવસ હોમ આઈસોલેટ થવાનું રહેશે. નજીકના સંપર્કમાં આવેલા લોકો માટે સાત દિવસનો ક્વોરેન્ટાઈન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી તેમનો કોરોના ટેસ્ટ પાંચમા અને સાતમા દિવસે કરવામાં આવશે. સંક્રમિત વ્યક્તિએ ક્વોરન્ટાઈન નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે નહીં તો BMC દ્વારા કડક કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ક્વોરન્ટાઈનમાં રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓના ઘરમાં જરૂરીયાતના સામાનની પહોંચાડવાની જવાબદારી બિલ્ડિંગની મેનેજમેન્ટ કમિટીની રહેશે. જે અધિકારીઓ મહાનગરપાલિકા વતી દેખરેખ માટે જશે, તેની સાથે બિલ્ડીંગમાં રહેતા લોકોને સહકાર આપવા જણાવ્યું છે. બિલ્ડીંગ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ દ્વારા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી મુંબઈમાં 8 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. સાથે જ સેંકડો દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્રના આંકડાની વાત કરીએ તો બે દિવસથી લગભગ 12 હજાર લોકો સંક્રમિત જોવા મળ્યા છે. બે તૃતીયાંશથી વધુ કેસ એકલા મુંબઈમાં નોંધાઈ રહ્યા છે.