News Continuous Bureau | Mumbai
Mumbai Fire Brigade Alert દેશની રાજધાની દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભીષણ આગ અને તેમાં થયેલા નિર્દોષ લોકોના મોતના મામલે દેશભરમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ ભયાનક દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ ફાયર બ્રિગેડ સફાળું જાગ્યું છે અને શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મુંબઈની તમામ નાનીમોટી હોટેલો, પબ, લક્ઝરી રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના સ્ટોલ્સ પર ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણ માટે તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. મુંબઈના ભીડભાડ વાળા વિસ્તારોમાં ફાયર ઓડિટ પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી છે.
Mumbai Fire Brigade Alert : ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ સામે બીએમસીની મોટી કાર્યવાહી
દિલ્હીની ઘટનામાંથી પાઠ લઈને મુંબઈ ફાયર બ્રિગેડ અને બીએમસીએ સંયુક્ત રીતે શહેરની જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. સત્તાવાર માહિતી અનુસાર, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બોરા બોરા અને ચાઇના ગેટ જેવી અનેક પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવામાં આવ્યા છે. આ સંસ્થાઓમાં ઈમરજન્સી એક્ઝિટ બ્લોક હોવા, ગેરકાયદેસર શેડ્સ ઉભા કરવા અને ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી છે. તંત્ર દ્વારા આવી તમામ જગ્યાઓ પરથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
Mumbai Fire Brigade Alert : દિલ્હીની દુર્ઘટના પાછળ લાયસન્સનું મોટું કૌભાંડ જવાબદાર હોવાનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના માલવીયા નગરમાં ફ્લોરિશ સ્ટે નામની હોટેલમાં વહેલી સવારે લાગેલી આગમાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હોટેલ પાસે ફાયર વિભાગનું કોઈ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું. આ ઉપરાંત, સરકાર દ્વારા આ હોટેલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ માલિકોએ લોભમાં આવીને બેઝમેન્ટ સહિત આખી બિલ્ડિંગમાં 25થી વધુ રૂમ બનાવી દીધા હતા. બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો હોવાથી આગ ફાટી નીકળ્યા બાદ લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને ગૂંગળામણને કારણે મોતના મુખમાં ધકેલાયા હતા.
Mumbai Fire Brigade Alert : નોટિસ આપ્યા વિના જ સીધી હોટેલો સીલ કરવાના આદેશ
મુંબઈ ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, લોકોના જીવ સાથે રમત રમનારી કોઈપણ હોટેલ કે બારને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ જગ્યાએ ઈમરજન્સી એક્ઝિટ બંધ જોવા મળશે કે અગ્નિશામક સાધનો બંધ હાલતમાં હશે, તો નિયમ મુજબ નોટિસ આપવાની રાહ જોયા વિના જ તે હોટેલને સીધી સીલ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં થયેલા અગ્નિકાંડ જેવી ઘટના ફરી ન બને તે માટે આ વખતે તંત્ર કૂણું વલણ રાખવાના મૂડમાં નથી. રેસ્ટોરન્ટ માલિકોને તેમના સ્ટાફને ફાયર ફાઈટીંગની ટ્રેનિંગ આપવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Local ટિકિટ વગર મુસાફરી ભારે પડી! મુંબઈ સેન્ટ્રલ રેલવેએ ૨ મહિનામાં ૪.૩૦ લાખ ખુદાબક્ષો પાસેથી વસૂલ કર્યો ₹૩૦ કરોડથી વધુનો દંડ