News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોમર્શિયલ ગેસની અછતની અસર હવે શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર જોવા મળી રહી છે. મુંબઈની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત હોટલોમાંની એક એવી ‘આનંદ ભવન’ માંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. માટુંગા વિસ્તારમાં આવેલી આ 85 વર્ષ જૂની હોટલે તેના મેનૂમાંથી કેટલીક દક્ષિણ અને ઉત્તર ભારતીય વાનગીઓને હટાવી દીધી છે. ગેસની અપૂરતી સપ્લાયને કારણે હોટલ મેનેજમેન્ટે આ નિર્ણય લેવો પડ્યો છે.આનંદ ભવન હોટલ તેની સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ માટે જાણીતી છે, જ્યાં મુંબઈના ખૂણે ખૂણેથી લોકો જમવા આવે છે. પરંતુ કોમર્શિયલ ગેસની અછતને કારણે હોટલની 4 પ્રખ્યાત વાનગીઓ જેવી કે પ્લેન ઉત્તપમ, ઓનિયન ઉત્તપમ, રવા ઉત્તપમ અને પૂરી ભાજીને અત્યારે મેનૂમાંથી ડિલિસ્ટ (Delist) કરવામાં આવી છે.
શા માટે આ વાનગીઓ બનાવવાનું બંધ કરાયું?
હોટલ મેનેજરના જણાવ્યા અનુસાર, મેનૂમાંથી હટાવવામાં આવેલી વાનગીઓ બનાવવા માટે ગેસનો વધુ વપરાશ થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી હોટલમાં કોમર્શિયલ ગેસ નો સપ્લાય થયો નથી. મેનેજરે ચેતવણી આપી છે કે જો આજે પણ ગેસનો પુરવઠો નહીં મળે, તો સંભવતઃ આગામી બે દિવસમાં હોટલની કામગીરી સંપૂર્ણપણે બંધ કરવી પડશે. આ પરિસ્થિતિને કારણે હોટલના કર્મચારીઓ અને નિયમિત ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
દેશભરમાં ગેસની કાળાબજારી અને અછતનો માહોલ
માત્ર મુંબઈ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અત્યારે ગેસ સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓ અને ગોદામોની બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો બ્લેકમાં સિલિન્ડર ખરીદવા માટે મોટી રકમ ખર્ચવા તૈયાર છે, છતાં સિલિન્ડર ઉપલબ્ધ નથી. સૌથી વધુ મુશ્કેલી હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને થઈ રહી છે, કારણ કે તેમનો વ્યવહાર કોમર્શિયલ સિલિન્ડર પર નિર્ભર છે.
સરકારનો દાવો અને અમિત શાહની અધ્યક્ષતામાં કમિટી
એક તરફ સામાન્ય જનતા અને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારનું કહેવું છે કે દેશમાં ગેસ અને તેલનો પર્યાપ્ત સ્ટોક મોજૂદ છે અને સપ્લાય ચેઈનમાં કોઈ મોટી અડચણ નથી. પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. આ કમિટી સપ્લાયની મોનિટરિંગ અને નવી નીતિઓ બનાવવાનું કામ કરશે. હવે જોવાનું એ રહેશે કે હોટલ આનંદ ભવન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓને ક્યારે રાહત મળે છે.