News Continuous Bureau | Mumbai
Mumbai Local Ticket Refund ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં રેલ્વે ટિકિટ બારી પર યુપીઆઈ (UPI) કે ક્યુઆર કોડ (QR Code) દ્વારા પેમેન્ટ કરતી વખતે ઘણીવાર ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પણ ટિકિટ નીકળતી નથી. મુંબઈ લોકલના મુસાફરોની આ માથાકૂટનો કાયમી ઉકેલ લાવવા માટે પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે ‘સરલ’ (SARAL) પોર્ટલ લોન્ચ કર્યું છે. ચર્ચગેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વેના મુખ્ય વાણિજ્ય વ્યવસ્થાપક તરુણ જૈને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો.
‘સરલ’ પોર્ટલ કેવી રીતે કામ કરશે? (How it Works)
હવે રેલ્વે સ્ટેશનની ટિકિટ બારીઓ પાસે ‘સરલ’ પોર્ટલ સંબંધિત ક્યુઆર કોડ લગાવવામાં આવશે. જો મુસાફરોનો ડિજિટલ વ્યવહાર ફેલ થાય, તો તેઓ આ કોડ સ્કેન કરીને સીધો ઓનલાઈન રિફંડ માટે અરજી કરી શકશે. મુસાફરોએ અરજી કરતી વખતે ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ પણ જોડવાનો રહેશે. આ પ્રક્રિયા બાદ રિફંડની સ્થિતિ વિશેની તમામ જાણકારી મુસાફરોને ઈ-મેલ દ્વારા આપવામાં આવશે, જેથી તેમને ઓફિસ કે સ્ટેશનના ધક્કા ખાવા ન પડે.
આ સમાચાર પણ વાંચો : Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
અત્યારે માત્ર પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગ માટે સુવિધા
પશ્ચિમ રેલ્વેના વાણિજ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ આ પહેલ હાલમાં માત્ર મુંબઈ વિભાગપૂરતી મર્યાદિત છે. અગાઉ રિફંડ મેળવવા માટે મુસાફરોએ સ્ટેશન પર રૂબરૂ આવીને લેખિત અરજી કરવી પડતી હતી અને તેની સ્થિતિ જાણવા માટે કોઈ ‘રિયલ ટાઈમ ટ્રેકિંગ’ ઉપલબ્ધ નહોતું. ‘સરલ’ લિંક દ્વારા હવે મુસાફરો પોતાની અરજીનો પ્રોગ્રેસ ઓનલાઈન જોઈ શકશે. સફળ પ્રતિસાદ બાદ આ સુવિધા આખી પશ્ચિમ રેલ્વેમાં લાગુ કરવામાં આવશે.
