News Continuous Bureau | Mumbai
ચોમાસું નજીક હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાએ હજી સુધી નાળાસફાઈના કામનો આરંભ કર્યો નથી. સામાન્ય રીતે માર્ચ મહિનાથી મુંબઈના નાળાઓની સફાઈ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે આ વર્ષે હજુ સુધી નાળાસફાઈના કામ માટે કોન્ટ્રેક્ટર પણ નીમવામાં આવ્યા નથી. તેથી ચોમાસામાં વરરસાદમાં મુંબઈ પાણીમાં ડૂબે એવી ભારોભાર શક્યતા છે.
પાલિકામાં ચાલી રહેલી ચર્ચા મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અમુક કોન્ટ્રેક્ટરો પર રેડ પાડવામાં આવી હતી, તેને કારણે અનેક કોન્ટ્રેક્ટરો કામ માટે આગળ આવ્યા નહોતા. તેથી પાલિકાની સાત માર્ચના યોજાયેલી બેઠકમાં મુંબઈના સાત ઝોનમાંથી ફક્ત એક ઝોનના નાળાસફાઈના પ્રસ્તાવ મંજૂર થયા હતા. એટલું જ નહીં પણ અગાઉ મંજુર કરવામાં આવેલા અમુક પ્રસ્તાવમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ભાજપ સતત ફરિયાદ કરી રહ્યું હતું. તેથી કમિશનરે તપાસનો આદેશ પણ આપ્યો છે, તેથી પણ નાળાસફાઈના કામના પ્રસ્તાવ મંજૂર કરવામાં વિલંબ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કરી આ ખાસ અપીલ, આનંદ મહિન્દ્રાએ તરત આપી મદદની ખાતરી, જાણો શું છે સમગ્ર મામલો
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મનપા દર વર્ષે નાળાસફાઈ પાછળ લગભગ 150 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કરે છે. છતાં ચોમાસામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને પાલિકાને નાળાની સફાઈને લઈને ટીકાનો સામનો કરવો પડે છે. ત્યારે આ વર્ષે તો હજી સુધી નાળાસફાઈનું કામ ચાલુ જ થયું નથી, તેથી ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાની ભારોભાર શક્યતા છે.
મુંબઈમાં ત્રણ તબક્કામાં નાળાની સફાઈ કરવામાં આવે છે. ચોમાસા પહેલા, ચોમાસા દરમિયાન અને ચોમાસું પૂરું થયું પછી નાળાઓ સાફ કરવામાં આવે છે. તે મુજબ દર વર્ષે ચોમાસાના પહેલા નાળાસફાઈનું કામ પહેલી માર્ચથી ચાલુ થાય છે. જોકે માર્ચ મહિનો અડધો પૂરો થયા છતાં હજી સુધી નાળાસફાઈ માટે કૉન્ટ્રેક્ટર નીમવામાં પ્રક્રિયા ચાલુ થઈ નથી.
મુંબઈ મહાનગરપાલિકાની સાત માર્ચના મુદત પૂરી થઈ જતા પ્રશાસક તરીકે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને નીમવામાં આવ્યા છે. તેથી મુંબઈ તમામ કામની જવાબદારી તેમના માથા પર છે. છતાં હજી મુંબઈમાં નાળાસફાઈના કામ ચાલુ કરવામાં આવ્યા નથી. જોકે તેમણે દાવો કર્યો છે બહુ જલદી કામ ચાલુ કરવામાં આવશે અને ચોમાસા આગમન પહેલા સફાઈ થઈ જશે.