News Continuous Bureau | Mumbai
Mumbai-Nashik Investment Fraud સરગવા પાવડરની નિકાસના બહાને વાર્ષિક 50% વળતરની લાલચ આપી આચર્યું કૌભાંડ; દાદર અને નાસિકમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન, મુખ્ય આરોપીઓ ફરાર.
Story – મુંબઈમાં આકર્ષક વળતરની લાલચ આપીને નિર્દોષ રોકાણકારોને લૂંટતી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. એક જાણીતી કંપની દ્વારા આચરવામાં આવેલા અંદાજે ₹10 કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ દાદર અને નાસિકમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કૌભાંડમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.
સરગવા પાવડરના નામે આચર્યું કૌભાંડ
આ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ આચરવા માટે ઠગોએ અત્યંત આયોજનબદ્ધ જાળ બિછાવી હતી. આરોપીઓ એક કંપની ચલાવીને એવો દાવો કરતા હતા કે તેમની કંપની મોરિંગા (સરગવો) પાવડરનું મસમોટું ઉત્પાદન અને વિદેશમાં નિકાસ કરે છે. તેઓ રોકાણકારોને વાર્ષિક 50% જેટલું માતબર વળતર અને 5 વર્ષમાં મૂડી 2.5 ગણી કરી આપવાની અવાસ્તવિક લાલચ આપતા હતા. રોકાણકારોને રોકડમાં વ્યવહાર કરવા દબાણ કરી માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ પધરાવી દેવામાં આવતો હતો.
ગૂગલ રિવ્યુ પરથી ખુલી છેતરપિંડીની પોલ
આ છેતરપિંડીનો ભોગ બનેલી સાયન વિસ્તારની એક મહિલાએ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેમણે ગૂગલ રિવ્યુ પર પોતાની સાથે થયેલી ઠગાઈ વિશે લખ્યું, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે તેમની જેમ અન્ય 150 થી વધુ લોકો પણ આ જ રીતે પોતાની જીવનભરની કમાણી ગુમાવી ચૂક્યા છે. શરૂઆતમાં વિશ્વાસ જીતવા વળતર અપાયા બાદ, મોટું ભંડોળ એકઠું થતા પેમેન્ટ બંધ કરી દેવાયું હતું અને આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
EOW ના દરોડા અને સર્ચ ઓપરેશન
ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ EOW ને સોંપવામાં આવી છે. EOW ની ટીમોએ દાદર અને નાસિકમાં આરોપીઓના રહેઠાણ અને ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જોકે, મુખ્ય બે આરોપીઓ હાલમાં ફરાર છે અને પોલીસ તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને આવી અવાસ્તવિક વળતર આપતી સ્કીમોથી સાવધ રહેવાની અપીલ કરી છે.
