News Continuous Bureau | Mumbai
Amboli Police Case। મુંબઈના અંબોલી વિસ્તારમાં અંધશ્રદ્ધા અને ઘરેલું હિંસાની એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ૨૭ વર્ષીય પરિણીતા પર તેના સાસરિયાઓ દ્વારા મેલી વિદ્યાના નામે અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પીડિતાના જણાવ્યા મુજબ, સાસરિયાઓના સતત ત્રાસ અને તાંત્રિક વિધિઓના દબાણને કારણે તેણે બે વાર ગર્ભપાત (Miscarriage) નો સામનો કરવો પડ્યો છે.
મેલી વિદ્યા અને અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ
પીડિતાએ પોતાની ફરિયાદમાં સસરા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સસરા પોતાને તાંત્રિક ગણાવતા અને વહુને ભૂત-પ્રેત વળગ્યા હોવાનું કહીને તેના પર વિચિત્ર વિધિઓ કરતા હતા. વિધિના બહાને પરિણીતાના શરીર પર મીઠું ઘસવામાં આવતું, માથા પર ચંપલ ફેરવવામાં આવતા અને મોરપીંછ વડે તેને માર મારવામાં આવતો હતો. આ અંધશ્રદ્ધાભર્યા કૃત્યોને કારણે મહિલા સતત માનસિક ભયમાં જીવતી હતી.
દહેજ માટે ત્રાસ અને 7 તોલા સોનું પચાવ્યું
ફેબ્રુઆરી ૨૦૨૧ માં લગ્ન થયા બાદ ટૂંક સમયમાં જ સાસરિયાઓએ આર્થિક મદદ અને વ્યવસાયના બહાને પરિણીતાને મેણાં મારવાનું શરૂ કર્યું હતું. પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન સમયે પિયર પક્ષે આપેલા અંદાજે ૮ લાખ રૂપિયાની કિંમતના ૭ તોલા સોનાના દાગીના પણ સાસરિયાઓએ પચાવી પાડ્યા છે. આટલું જ નહીં, તેના શારીરિક દેખાવને લઈને પણ પતિ અને સાસરિયાઓ દ્વારા સતત અપમાનિત કરવામાં આવતી હતી.
અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી
અત્યાચારની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે ગર્ભવતી હોવા છતાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી, જેના કારણે તેને બે વાર ગર્ભપાત થયો હતો. અંબોલી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ‘મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા વિરોધી કાયદા’ (૨૦૧૩) હેઠળ પતિ, સાસુ અને સસરા સહિત પરિવારના ૭ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આ સંવેદનશીલ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Andheri Accident News। અંધેરીમાં કાળજું કંપાવનારી ઘટના પાર્કિંગ વખતે પુત્રના હાથે જ પિતાનું કરૂણ મોત, એક્સિલરેટર દબાઈ જતાં સર્જાયો અકસ્માત
