Mumbai Traffic Police: મુંબઈમાં રિક્ષાચાલકોની મનમાની પર પોલીસનો ‘સપાટો’: ૧૨ દિવસમાં ૩૬ હજાર કેસ અને ₹૯૭ લાખનો દંડ; ૮૧૫ રિક્ષાઓ કરાઈ જપ્ત

૨૩ હજારથી વધુ કેસ માત્ર ભાડું ના પાડવા બદલ નોંધાયા; ઓવર સીટિંગ અને વધુ ભાડું વસૂલતા ચાલકોના લાયસન્સ થશે સસ્પેન્ડ, RTO ને સોંપાયો રિપોર્ટ.

by samadhan gothal
Mumbai Traffic Police મુંબઈમાં રિક્ષાચાલકોની મનમાની પર પોલીસનો ‘સપાટો

News Continuous Bureau | Mumbai
Mumbai Traffic Police મુંબઈમાં રિક્ષાચાલકોની બેફામ બનેલી મનમાની સામે ટ્રાફિક પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ૧૨ દિવસમાં પોલીસે કરેલી આક્રમક ઝુંબેશમાં ૩૬,૧૫૩ કેસો નોંધીને ₹૯૭.૪૯ લાખનો તાત્કાલિક દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત, જૂના પેન્ડિંગ ઇ-ચલણ પેટે ₹૧.૪૭ કરોડની તોતિંગ વસૂલાત કરવામાં આવી છે. પોલીસની આ ઝુંબેશને કારણે રેલ્વે સ્ટેશનોની બહાર દેકારો મચાવતા રિક્ષાચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૮૧૫ રિક્ષાઓને સ્થળ પર જ જપ્ત કરી લીધી છે. મુંબઈના ભીડભાડ વાળા વિસ્તારો અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

‘ભાડું ના પાડવું’ સૌથી મોટો ગુનો

ટ્રાફિક પોલીસના આંકડા ચોંકાવનારા છે. નોંધાયેલા કુલ કેસોમાંથી સૌથી વધુ ૨૩,૭૪૪ કેસ માત્ર ‘ફેયર રિફ્યુઝલ’ એટલે કે ટૂંકા અંતરનું ભાડું લઈ જવાની ના પાડવા બદલ નોંધાયા છે. મુંબઈગરાઓની લાંબા સમયની આ ફરિયાદ પર પોલીસે આખરે કડક અમલવારી શરૂ કરી છે. આ ઉપરાંત, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડવા (ઓવર સીટિંગ) બદલ ૮,૪૬૯ અને નિયત દર કરતા વધુ ભાડું માંગવા બદલ ૪૫૬ કેસ નોંધાયા છે.

લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા તેજ

પોલીસે માત્ર દંડ કરીને સંતોષ નથી માન્યો. જે ચાલકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમની યાદી બનાવીને RTO (પ્રાદેશિક પરિવહન કચેરી) ને મોકલી આપવામાં આવી છે. અનેક ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી કે કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીમાં ગેરકાયદે પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગ જેવા ગુનાઓનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mahim Hospital Data Fraud: માહિમમાં હોસ્પિટલના ડેટાનો દુરુપયોગ કરી છેતરપિંડી: મૃત દર્દીના પરિવારને ‘સહાય’ની લાલચ આપી નાણાં પડાવનાર ભેજાબાજ ઝડપાયો.

ભવિષ્યમાં પણ ચાલુ રહેશે સરપ્રાઈઝ ચેકિંગ

મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ રિક્ષાચાલકોમાં શિસ્ત લાવવાનો છે. મુસાફરોને સુરક્ષિત અને પારદર્શક મુસાફરીનો અનુભવ મળે તે માટે આવનારા દિવસોમાં પણ વ્યસ્ત જંકશનો અને સ્ટેશનોની બહાર આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More