News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં દુકાનો અને વ્યાપારી સંસ્થાઓની બહાર મરાઠી સાઈનબોર્ડ(Marathi name signboard) લગાવવાની ત્રીજી ડેડલાઈન પણ શુક્રવારે પૂરી થઈ ગઈ છે. જોકે, મહાનગરપાલિકા(BMC) દ્વારા કરાયેલા સર્વેમાં કુલ દુકાનોની સંખ્યાની સરખામણીએ માત્ર 97,000 દુકાનોએ જ મરાઠી સાઈનબોર્ડ લગાવ્યા છે. પરંતુ હજુ પણ એક લાખથી વધુ બોર્ડ મરાઠી કે દેવનાગરી ભાષામાં લગાવ્યા નથી.. ત્યારે આગામી સપ્તાહથી પાલિકા(BMC) કોઈ કાર્યવાહી કરશે કે ફરીથી લંબાવશે તેના પર સૌની નજર છે.
તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાએ અનેક જગ્યાએ સર્વે કર્યો હતો. જેમાં જણાઈ આવ્યું કે મુદત વધારી આપ્યા બાદ મુંબઈમાં કુલ 2 લાખ દુકાનોના સાઈનબોર્ડ્સ(name board)માંથી માત્ર 48 ટકા એટલે કે 97 હજાર દુકાનના સાઈનબોર્ડ મરાઠી ભાષામાં લગાડ્યા છે. અને હજુ પણ 52 ટકા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટે(Shops and establishments) હજુ સુધી તેમના નામના બોર્ડ મરાઠીમાં કર્યાં નથી. મરાઠી સાઈન બોર્ડ લગાવવાની આ મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ ગઈ હોવાથી પાલિકા લાઈસન્સ ડિપાર્ટમેન્ટ(Municipal Licensing Department) દ્વારા કમિશનર ઈકબાલસિંહ ચહલ પાસે દુકાનદારો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે કાર્યવાહી કરવાની મંજૂરી માગવામાં આવી છે.
પાલિકાના વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ લાયસન્સ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવા માટે તૈયાર જ છે. એક વખત કમિશનર પાસેથી મંજૂરી મળી જાય એટલે વોર્ડ સ્તરે અમારી ટીમ દુકાનોનું ઈન્સ્પેક્શન કરીને કાર્યવાહી કરવાનું ચાલુ કરી દેશે. તેમ જ જેણે હજી સુધી નામના બોર્ડ મરાઠીમાં કર્યાં નથી, તેની સામે દુકાનમાં જેટલા કર્મચારી કામ કરતા હોય તે પ્રમાણે પ્રતિ કર્મચારી તેમની પાસેથી બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ (Supreme court) તરફથી કોઈ સ્ટે આવ્યો નથી, તેથી આગામી બે-ત્રણ દિવસમાં કાર્યવાહી ચાલુ પણ કરી દેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.