ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દક્ષિણ મુંબઈના તાડદેવમાં ગોવાલિયા ટેન્ક પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ 20 માળાની સચિનમ હાઈટ્સ બિલ્ડિંગમાં ગયા અઠવાડિયે લાગેલી આગનો મૃત્યુઆંક આઠ પર પહોંચી ગયો છે. બુધવારે મોડી રાતે વધુ એક જખમીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેથી હવે પૂરા બનાવમાં કુલ મૃત્યુઆંક આઠ થઈ ગયો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના જણાવ્યા મુજબ બુધવારે મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ 35 વર્ષની મધુરી ચોપડેકરનું મૃત્યુ થયું હતું. તેના પર પાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. આ અગાઉ સોમવારે નાયર હોસ્પિટલમાં ક્રિટીકલ હાલતમાં રહેલા 38 વર્ષના મનીષ સિંહનું સવારે મૃત્યુ થયું હતું. હાલ ભાટિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ લોકોની હાલત ક્રિટિકલ છે. જયારે પાંચની તબિયત સ્થિર છે. તો મસીના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એકની હાલત હજી પણ ક્રિટીકલ હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું.
સચિનમ હાઈટ્સમાં થયેલા અગ્નિતાંડવમાં કુલ ૩૦ જખમી થયા હતા. શનિવારે આ દુઘર્ટનામાં છના મોત થયા હતા. તેમાંથી પાંચ ના મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી. જેમાં 19મા માળા પર રહેતા મિસ્ત્રી પરિવારના એક જ સભ્યના માતા, પુત્ર અને પુત્રીનું મોત થયું હતું. તો તેમના બાજુના ફલેટમાં રહેતા કંથારિયા પરિવારમાં પણ 75 વર્ષની વૃદ્ધાનું મોત થયું હતું. તો તેના યુવાન દીકરા કિરીટના મૃતદેહની હજી સુધી ઓળખ થઈ શકી નથી.
મલાડના સ્પોર્ટ્સ કોમ્પલેક્સના નામકરણનો વિરોધ કરનારાઓને પોલીસે લીધા અટકાયતમાં, મોડેથી થયો છૂટકારો; જાણો વિગત
નાયર હોસ્પિટલમાં એક અજાણ્યો મૃતદેહ કિરીટનો હોવાથી પોલીસને શંકા છે. પરંતુ મૃતદેહની ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેની ઓળખ શક્ય થઈ શકી નહોતી. તેથી પોલીસ ડીએનએ ટેસ્ટ ની મદદ લીધી છે. તે માટે કિરીટના ભાઈના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કિરીટના સંબંધીના જણાવ્યા મુજબ ડીએનએનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ આજે તેમના પરિવારને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે.