ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
દેશના વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકારની મહત્ત્વની યોજના ગણાતી રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો ઉત્તર મુંબઈમાં શુભારંભ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત સિનિયર સિટીઝનોને જીવનાવશ્યક ઉપકરણો નિ:શુલ્ક આપવામાં આવવાનાં છે.

ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે આ યોજનાને 25 ઑગસ્ટથી અમલમાં મૂકવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષ ઉત્તર મુંબઈ તરફથી આ યોજના હેઠળ દરેક વિધાનસભા ક્ષેત્રમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવવાનું છે. ગોપાલ શેટ્ટીના નેતૃત્વમાં મેડિકલ કૅમ્પનું ઉદ્ઘાટન સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.રન્નાબહેન દોશીના હસ્તે બોરિવલી (વેસ્ટ)માં બાભઈ આચાર્ય નરેન્દ્ર દેવ શાળામાં કરવામાં આવ્યું હતું.
આ યોજના અલમમાં મૂકવા માટે ભાજપ કાર્યકર્તાઓ અને નગરસેવકોએ પોતાના વૉર્ડમાં રહેલા વરિષ્ઠ નાગરિકોનાં ફૉર્મ ભરી લીધાં છે. ફૉર્મ ભરનારા નાગરિકોની બુધવારથી ડૉક્ટરો દ્વારા તપાસ કરીને તેમને આવશ્યક રહેલાં ઉપકરણો પૂરાં પાડવામાં આવશે. જેમાં ચાલવા માટે લાકડી, ચશ્માં, કાનથી સાંભળી શકાય એ માટેનું મશીન, વ્હીલચૅર, નવા પ્રકારના ડાયાબિટીઝના શૂઝ, કમોડ ખુરસી જેવાં ઉપકરણોનો આ યોજનામાં સમાવેશ થાય છે.