News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન બાદ હવે વિપક્ષ આક્રમક મૂડમાં છે. NCP (SP) નેતા રોહિત પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અકસ્માત પાછળ કોઈ મોટું કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેમણે પોતાના કાકા અને મહારાષ્ટ્રે એક નેતા ગુમાવ્યા છે, તેથી તમામ શંકાઓનું નિરાકરણ આવવું અનિવાર્ય છે.
ડ્રાઈવરને નિશાન બનાવવું સૌથી સરળ રસ્તો – રોહિત પવાર
રોહિત પવારે એક પુસ્તકનો હવાલો ટાંકીને સનસનાટીભર્યો દાવો કર્યો કે, જો કોઈ વ્યક્તિને મારવો હોય તો તેના ડ્રાઈવરને નિશાન બનાવવો એ સૌથી સરળ રસ્તો હોય છે. પ્લેન ક્રેશના કિસ્સામાં પણ કંઈક આવું જ હોઈ શકે છે તેવી શંકા તેમણે વ્યક્ત કરી છે. તેમણે તપાસ એજન્સીઓ પાસે આ મુદ્દે હકીકત સામે લાવવાની માંગ કરી છે અને દરેક પોઈન્ટના નક્કર પુરાવા હોવાનું પણ જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan Defense Minister Statement: પાકિસ્તાન રક્ષા મંત્રીએ અમેરિકાને લીધું આડે હાથ, સેના પ્રમુખો અને અમેરિકી નીતિ પર સંસદમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન
અકસ્માતના એક દિવસ પહેલા બદલાયો હતો પ્લાન
પ્લેન ક્રેશના સંજોગો પર સવાલ ઉઠાવતા રોહિત પવારે કહ્યું કે, અકસ્માતના એક દિવસ પહેલા અજિત દાદા મુંબઈથી પુણે કાર દ્વારા આવવાના હતા અને તેમનો કાફલો પણ નીકળી ચૂક્યો હતો. પરંતુ અચાનક તેમણે કારની મુસાફરી કેન્સલ કરીને પ્લેનથી આવવાનું કેમ નક્કી કર્યું? તે એક મોટો સવાલ છે. તેમણે વધુમાં દાવો કર્યો કે અજિત પવાર તે સમયે એક ખૂબ જ મોટા નેતાને મળવાના હતા.
NCP ના વિલયની ચર્ચાઓ અને પક્ષમાં મતભેદ
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે જે સમયે NCP ના વિલયની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, તે જ સમયે આ અકસ્માત થવો એ અનેક શંકાઓ જન્માવે છે. જોકે, શરદ પવારે આ ઘટનાને માત્ર એક અકસ્માત ગણાવ્યો છે, પરંતુ તેમની જ પાર્ટીના યુવા નેતા રોહિત પવારના સવાલોથી પક્ષમાં પણ મતભેદની સ્થિતિ જોવા મળી રહી છે. રોહિત પવારે રાજ્ય અને કેન્દ્રની તપાસ એજન્સીઓ પાસેથી સકારાત્મક જવાબની અપેક્ષા વ્યક્ત કરી છે.