News Continuous Bureau | Mumbai
મુંબઈના માહિમ કોઝવે (Mahim Causeway) પાસે પાણીની એક મુખ્ય પાઇપલાઇન ફાટતા હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. આ ભંગાણને કારણે પશ્ચિમ ઉપનગરના ખાર અને બાંદ્રા વિસ્તારમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત વર્તાય તેવી શક્યતા છે.
૯૦૦ મીમી વ્યાસની પાઇપલાઇનમાં ભંગાણથી રસ્તાઓ પર ભરાયા પાણી
ઘટનાની વિગતો મુજબ, માહિમ કોઝવે નજીકથી પસાર થતી ૯૦૦ મીમી વ્યાસની મુખ્ય જળવાહિનીમાં અચાનક મોટું ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇન ફાટતા જ પાણીનો ઊંચો ફુવારો ઉડ્યો હતો અને જોતજોતામાં આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ જળબંબાકારની સ્થિતિને કારણે વાહનવ્યવહારની ગતિ પણ ધીમી પડી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
Water supply disrupted in parts of Khar (West) and Bandra (West) after a major leakage was reported from a 900 mm diameter water pipeline at Mahim Causeway today afternoon. pic.twitter.com/zMDOy97F38
— Richa Pinto (@richapintoi) February 9, 2026
આ સમાચાર પણ વાંચો : Mumbai Bike Theft: પડદા પર કલાકાર અને રસ્તા પર બાઈક ચોર: ૧૭ ગુના આચરનાર રીલ્સ સ્ટારની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ
હાઈડ્રોલિક વિભાગ દ્વારા સમારકામની કામગીરી શરૂ
ઘટનાની જાણ થતા જ BMCના હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. લીકેજને વધુ પ્રસરતું અટકાવવા માટે સૌપ્રથમ મુખ્ય વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. પાઇપલાઇન મોટી હોવાથી અને જથ્થો વધુ હોવાથી સંપૂર્ણ સમારકામમાં સમય લાગવાની ધારણા છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે, સમારકામ પૂર્ણ થયા બાદ જ પુરવઠો પૂર્વવત્ કરી શકાશે.
ખાર અને બાંદ્રામાં પાણીની અછત, નાગરિકો માટે એડવાઈઝરી
આ પાઇપલાઇનમાં ભંગાણને કારણે ખાર પશ્ચિમ અને બાંદ્રા પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રહી શકે છે અથવા અત્યંત ઓછા દબાણ થી આવશે. પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પુરવઠો ફરી શરૂ થયા બાદ શરૂઆતમાં પાણી થોડું ડહોળું આવી શકે છે, તેથી ૨૪ કલાક સુધી પાણી ઉકાળીને વાપરવું. જે સોસાયટીઓમાં પાણી ઓછું હોય, તેમણે ટેન્કરની વ્યવસ્થા કરી લેવી અથવા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.