News Continuous Bureau | Mumbai
Agricultural News : બીજ મસાલાના ઊભા પાકમાં મોલો, થ્રીપ્સ, તડતડીયાં જેવી ચૂસિયાં જીવાતો તેમજ લીલી ઈયળ, લશ્કરી ઈયળ, પાનકોરિયું જેવી ચાવીને ખાનાર જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં બાબતે ખેડૂતોને માહીતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તરફથી બીજ મસાલાના ઊભા પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
બીજ મસાલાના પાકોમાં મોલોનો ઉપદ્રવ દેખાયેથી શકય હોય ત્યાં મોલો ઉપદ્રવિત ભાગોને કાપી લઇ નાશ કરવો. પાનકોરીયાનો ઉપદ્રવ દેખાયેથી પાકની શરુઆતની અવસ્થાએથી જ નુકસાન પામેલા પાન તોડીને નાશ કરવો જેથી ઉપદ્રવ ઘટાડી શકાય. પાકમાં પાણી ખેંચાય ત્યારે પાનકોરીયાનો વધુ ઉપદ્રવ જોવા મળે છે જેથી પાકને સમયસર પાણી આપવુ.
મોલો અને સફેદમાખીનાં પરિક્ષણ માટે પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા. લીલી ઈયળ અને લશ્કરી ઈયળનાં આક્રમણની જાણકારી રાખવા હેકટરે ૮-૧૦ની સંખ્યામાં જે તે જીવાતના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. પક્ષીઓને બેસવા ટેકા/બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ની સંખ્યામાં ગોઠવવાથી પક્ષીઓ દ્રારા ઈયળો અને ફૂદીનું ભક્ષણ થાય છે. લશ્કરી ઇયળોના ઈંડાંના સમૂહ અને જૂથમાં રહેતી લશ્કરી ઇયળોને વીણીને નાશ કરવો. લીલી ઇયળના નિયંત્રણ માટે ટ્રાઈકોગ્રામા ભમરી ૧.૫ લાખ/ હેક્ટરે છોડવી.
બીજ મસાલાના પાકોમાં ફૂલ અવસ્થાએ મધમાખી આવન જાવન જોવા મળે છે. તેથી ફૂલ અવસ્થાએ જંતુનાશકોનો છંટકાવ ટાળવો અથવા વનસ્પતિજન્ય દવા છાંટી શકાય. ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવા. બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર (૨ ગ્રામ/લિટર) અથવા લીલી ઈયળ (૨૫૦ એલઈ/હે) અને લશ્કરી ઈયળ (૪૫૦ એલઈ/હે)ના એનપીવીનો ઉપયોગ કરવો. આ દવાઓની સાથે સાબુ કે કપડા ધોવાનો પાવડર ૧ ગ્રામ/લિટર પાણી પ્રમાણે ઉમેરો કરવો. જેથી વરિયાળી કે જીરૂના પાન લીસાં હોવાથી આ દવાઓ પ્રસરીને ચોંટી શકે. આ દવાઓ હંમેશા ઢળતી સાંજે છાંટવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Surat Police: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો
બીજ મસાલાના પાકોમાં ડાળિયા, સીરફીડ માખીના કીડા અને કાયસોપર્લા નામના પરભક્ષી કીટકો કુદરતી રીતે મોલોનું ભક્ષણ કરતા હોવાથી આવા ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓનાં છંટકાવ ટાળવો. વરિયાળીની મોલોના રાસાયણિક નિયંત્રણ માટે ઇમીડાકલોપીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને થ્રીપ્સના નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ કરવા. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
કથીરીના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ૨૦ ગ્રામ અથવા ફેનપાયરીકઝીમેટ ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવા. બીજો છંટકાવ દસ દિવસ બાદ કરવો. લીલી ઈયળો/લશ્કરી ઈયળો વીણીને ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૫ મિ.લિ. ૨ લિટર પાણીમાં અથવા કેરોસીનવાળા પાણીના દ્રાવણમાં નાખી નાશ કરવો. લીલી ઈયળ અને લશ્કરી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દવાની અસરકારકતા વધારવા માટે સ્ટીકરનો ઉપયોગ અવશ્ય કરવો. ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી પ્રતિ હેક્ટરે ૨.૫ લિટર પ્રમાણે રેતી સાથે ભેળવી પૂંખીને અથવા પિયત સાથે આપવું. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલલા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.