News Continuous Bureau | Mumbai
- ભરૂચમાં એક જ દિવસમાં એકસાથે રૂ. ૬૩૭ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો વિકાસ ઉત્સવ
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત અને વિઝનરી નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિથી મોટું પરિવર્તન આવ્યું છે – ગુજરાતના વિકાસની ગતિ બમણી થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી
* વડાપ્રધાનશ્રીએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધાં છે.
* વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અપનાવવા કરેલા આહવાનને પગલે વોકલ ફોર લોકલથી સ્વદેશી-સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાની નેમ છે.
* ભરૂચ-અંકલેશ્વર-ઝધડીયા-દહેજનો આખો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ટાઉન્સ તરીકે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી વિકસ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી. માર્ગને રૂ. ૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું.
આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે.
મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ-ખાતમૂહર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે સમગ્રતયા ૬૩૭ કરોડ રૂપિયાના ૩૪ વિવિધ વિકાસકામો જિલ્લાના નાગરિકોને આપ્યા હતા.
આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ૫૭૬ કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા રમતગમત સંકુલ, શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મજબૂત અને વિઝનરી નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવા મોટા વિકાસલક્ષી પરિવર્તન આવી શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનુભવી રહ્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલા લીધા છે. એટલું જ નહિ, સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે.
આ સમાચાર પણ વાંચો: Rahul Gandhi Supreme Court: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું, “તમને કેવી રીતે ખબર કે ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો?” સેના પર ટિપ્પણી બદલ ફટકાર
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં દેશમાં પાછલા ૧૧ વર્ષમાં અનેક રિફોર્મ્સ થયા છે અને વિકાસની હરણફાળ જોતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ સતત વધ્યો છે. લોકો ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે અને તેમને વિશ્વાસ છે કે ટેક્સના આ પૈસા દેશના વિકાસ માટે ઉપયોગમાં આવવાના છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઈ.ટી. અને સેવાક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી વિકાસની ગતિ તેજ બની છે અને દેશનું અર્થતંત્ર ઝડપથી વિશ્વમાં ત્રીજા મોટા અર્થતંત્રના સ્થાને પહોંચવા સજ્જ થયું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના બે-અઢી દાયકાના માર્ગદર્શક નેતૃત્વમાં બમણી થઈ છે. ભરૂચ-અંકલેશ્વર-ઝઘડીયા-દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સીટી અને ટાઉન્સ તરીકે ડબલ એન્જિન સરકારે વિકસાવ્યો છે. એટલું જ નહિ, દેશના કેમિકલ કેપિટલ તરીકે ભરૂચ ખ્યાતિ પામ્યું છે અને દેશના અનેક રાજ્યોના યુવાઓ-લોકો માટે આ જિલ્લાના ઉદ્યોગો રોજગારીના અવસરો પૂરા પાડે છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક, દહેજ પી.સી.પી.આઈ.આર., એલ.એન.જી ટર્મિનલ તથા વાલિયાના ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી-ફૂડ પાર્કથી ભરૂચના આર્થિક, ઔદ્યોગિક વિકાસમાં બળ મળ્યુ છે.
તેમણે નીતિ આયોગના માર્ગદર્શનમાં વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવાના છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં ‘કેચ ધ રેઈન’, ‘એક પેડમાં કે નામ’, સ્વચ્છતા અભિયાન અને મેદસ્વિતા મુક્તિ જેવા વડાપ્રધાનશ્રીએ આપેલા લોકહિત- રાષ્ટ્રહિતના સંકલ્પો સાકાર કરવામાં ભરૂચ જિલ્લો પણ મહત્તમ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગના ત્રણ લાભાર્થીઓને, પ્રધાનમંત્રી આવાસ યોજના બે લાભાર્થીઓને, મિશન મંગલમના બે લાભાર્થીઓને કુલ ૫૧ લાખના લાભ સહાય વિતરણ અને ત્રણ લાભાર્થીઓને પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર માટે પીએમજય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું, 5G ટેકનોલોજી એટલે ગરવું, ગુણવંતું, ગ્રીન-ગ્લોબલ ગુજરાત દેશનું પ્રથમ 5G રાજ્ય બનવા તરફ છે. ગુજરાત વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યું છે તેના કારણે જ ભરૂચ જિલ્લામાં પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા 638 કરોડ રૂપિયાના કામોની ભેટ ભરૂચ જિલ્લાના નાગરિકોને મળી રહી છે તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવન કરતા જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ કાર્યકર્મની રૂપરેખા આપીને આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઇ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, અરૂણસિંહ રાણા, રિતેષ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Join Our WhatsApp Community