News Continuous Bureau | Mumbai
1930 helpline રહો સાયબર સુરક્ષિત: સાયબર ગુનાઓ સામેનું સુરક્ષા કવચ- ૧૯૩૦ હેલ્પલાઇન
UPI, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, લોન સ્કેમ કે OTP ફ્રોડ: દરેક નાણાકીય ગુનાનો સચોટ ઉપાય ૧૯૩૦ હેલ્પલાઇન
હેલ્પલાઇનમાં જાણ કરવાથી તમારા પૈસા સેકન્ડોમાં થશે ફ્રીઝ: અજાણી લિંક્સ અને OTP શેર કરવાથી બચો
માહિતી બ્યુરો, સુરત:સોમવાર: આજના યુગમાં ડિજિટલ ટેક્નોલોજી આપણા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે. બેંકિંગ, ખરીદી, બિલ ભરપાઈ, લોન કે અન્ય નાણાકીય વ્યવહાર; બધું ઓનલાઈન થઈ રહ્યું છે, પરંતુ આ સાથે જ સાયબર ગુનાઓમાં વધારો પણ નોંધાયો છે. દરરોજ હજારો લોકો કોઈને કોઈ પ્રકારના ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે. આવા પીડિતોને તાત્કાલિક મદદ અને ન્યાય મળે તે માટે ભારત સરકારે શરૂ કરી છે- ૧૯૩૦ હેલ્પલાઇન, જે એક રાષ્ટ્રીય સ્તરની સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સેવા છે.
હેલ્પલાઇનની શરૂઆત અને હેતુ:-
૧૯૩૦ હેલ્પલાઇનની શરૂઆત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. તેનું સંચાલન Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા થાય છે. સાયબર ફ્રોડની ઘટના બનતાની સાથે જ પીડિતની મદદ કરવી અને ગુનેગારોના ખાતામાં જમા થયેલા પૈસા તરત જ અટકાવવા એ તેનો મુખ્ય હેતુ છે.
આ હેલ્પલાઇન સાથે નૅશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) પણ જોડાયેલું છે, જેમાં નાગરિકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે.
*૧૯૩૦ હેલ્પલાઇન કેવી રીતે કાર્ય કરે છે?*
૧. ફ્રોડ થતાની સાથે પીડિત વ્યક્તિ તરત જ ૧૯૩૦ નંબર પર કૉલ કરીને પોતાની વિગતો આપવી.જેમ કે નામ, ફોન નંબર, ફ્રોડની રકમ, તારીખ, બેંકનું નામ વગેરે.
૨. કૉલ સેન્ટર ઓપરેટર તમારી ફરિયાદ નોંધી આ માહિતી નૅશનલ સાયબર ક્રાઇમ પોર્ટલને આપે છે.
૩. સંબંધિત બેંક અને સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવે છે, જેથી તરત જ ફ્રોડ ટ્રાન્ઝેક્શન બ્લોક કરી શકાય.
૪. બેંક અને NPCI (National Payments Corporation of India) સિસ્ટમ દ્વારા ગુનેગારોના ખાતામાં જમા થયેલા પૈસા તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે છે.
૫. પીડિત વ્યક્તિ www.cybercrime.gov.in પર જઈ પોતાના ફરિયાદ નંબર દ્વારા કેસની સ્થિતિ જોઈ શકે છે.
*હેલ્પલાઇનની મુખ્ય લાક્ષણિકતા*
દેશભરમાં ૨૪x૭ કાર્યરત હેલ્પલાઇન સેવા ૧૯૩૦ સાથે દરેક રાજ્યનું સાયબર ક્રાઇમ સેલ સંલગ્ન હોય છે. ઝડપી ફ્રોડ ટ્રાન્ઝેક્શન બ્લોક સિસ્ટમ, સામાન્ય નાગરિક માટે વિનામૂલ્યે અને સરળ ઉપયોગી, ઘણા રાજ્યોમાં સ્થાનિક ભાષામાં વાતચીતની સુવિધા છે.
*કઈ પરિસ્થિતિમાં મદદ મળે છે?*
૧૯૩૦ હેલ્પલાઇન UPI/Paytm/Google Pay/PhonePe ફ્રોડ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ, બેંક લોગિન/ OTP ફિશિંગ હુમલો, ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ અને બુકિંગ સાઇટ્સ), સોશિયલ મીડિયા હેકિંગ અથવા ફેક અકાઉન્ટ પ્રોફાઇલ, લોન એપ્લિકેશન ફ્રોડ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ, કૉલ, ઈમેલ અથવા મેસેજથી ફ્રોડની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે.
*નાગરિકોની સાવચેતી માટેના ઉપાય:*
સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં શાળાઓ અને કોલેજોમાં સાયબર સુરક્ષા તાલીમ કાર્યક્રમોથી માર્ગદર્શન, મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સાયબર સુરક્ષા માટે દરેક વ્યક્તિએ ડિજિટલ સાવચેતી રાખવી પણ જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Mira-Bhayander: મીરા-ભાઇંદરના માથે પંઢરીનો ચાંદલો: 51 ફૂટની વિઠ્ઠલ મૂર્તિનું ઐતિહાસિક અનાવરણ!
*સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-*
અજાણી લિંક પર ક્લિક ન કરો. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટે ઉપયોગી છે. આ હેલ્પલાઇન ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણવું જોઈએ અને અન્યને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને સાયબર સુરક્ષિત રહેવું જોઈએ.
