News Continuous Bureau | Mumbai
પંજાબના જાલંધરમાં શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીંના પોશ વિસ્તાર મોડલ ટાઉનમાં આમ આદમી પાર્ટીના (AAP) લોકપ્રિય નેતા લકી ઓબેરોયની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે.મળતી માહિતી મુજબ, લકી ઓબેરોય કોઈ ખાનગી કામ અર્થે મોડલ ટાઉન ગુરુદ્વારા સાહિબ પાસે ગયા હતા. તેઓ પોતાની થાર ગાડીમાં બેઠા હતા, તે જ સમયે અચાનક હુમલાખોરો ત્યાં પહોંચ્યા હતા અને તેમની પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ અત્યંત નજીકથી અંદાજે 13 ગોળીઓ ચલાવી હતી, જે લકી ઓબેરોયને શરીરના વિવિધ ભાગોમાં વાગી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
ગંભીર રીતે ઘાયલ હાલતમાં લકી ઓબેરોયને તાત્કાલિક શ્રી રામ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમે તેમને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. આ સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને સમર્થકો હોસ્પિટલ પહોંચી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 5% અને સોનામાં ₹2,600થી વધુનો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
સીસીટીવી ફૂટેજની તપાસ અને પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ADCP જયંત પુરી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ગુરુદ્વારા સાહિબ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના (CCTV) ફૂટેજ કબજે કર્યા છે. પોલીસને શંકા છે કે હુમલાખોરો નેતાની રેકી કરી રહ્યા હતા અને યોગ્ય તક મળતા જ આ વારદાતને અંજામ આપ્યો છે.
રાજકીય ગરમાવો અને સુરક્ષા પર સવાલો
આ હત્યાને કારણે પંજાબ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર વિરોધ પક્ષોએ સવાલો ઉઠાવ્યા છે. નેતાની હત્યા પાછળ કોઈ જૂની અદાવત છે કે ગેંગવોર , તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં સમગ્ર જાલંધરમાં નાકાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.