News Continuous Bureau | Mumbai
- ભારતીય ભાષા પુસ્તક યોજના ભારતીય ભાષાઓમાં ડિજિટલ સ્વરૂપના પુસ્તકો ઉપલબ્ધ કરશે
- ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનતા લાગુ કરવા માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી
- પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IISCમાં તકનીકી સંશોધન માટે 10,000 ફેલોશિપની જોગવાઈ
- “મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” મેન્યુફેક્ચરિંગ માટે યુવાનોને સજ્જ કરવા માટે કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો
- કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે શિક્ષણ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર
કેન્દ્રીય નાણાં મંત્રીએ કુતૂહલ અને નવીનતાની ભાવના કેળવવા તથા યુવા માનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય અંદાજપત્રમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ અંગે, કેન્દ્રીય બજેટ 2025-26માં જણાવાયું છે કે 23 આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેલ્લા 10 વર્ષમાં 65,000થી 1.35 લાખ થઈને 100 ટકા વધી ગઈ છે. વધુ 6,500 વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધા માટે વર્ષ 2014 પછી શરૂ થયેલી 5 આઇઆઇટીમાં વધારાનું માળખું ઊભું કરવામાં આવશે. આઇઆઇટી, પટણામાં છાત્રાલય અને અન્ય માળખાગત સુવિધાઓની ક્ષમતાનું પણ વિસ્તરણ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને તેમના વિષયોને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે શ્રીમતી નિર્મલા સીતારમણે શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ડિજિટલ સ્વરૂપના ભારતીય ભાષાના પુસ્તકો પ્રદાન કરવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજના અમલમાં મૂકવાની દરખાસ્ત રજૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં
Atal Tinkering Labs: કેન્દ્રીય નાણાં મંત્રીએ યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ઉત્પાદન માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા વૈશ્વિક કુશળતા અને ભાગીદારી સાથે કૌશલ્ય માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. આ ભાગીદારીમાં અભ્યાસક્રમની ડિઝાઇન, ટ્રેનર્સને તાલીમ, કૌશલ્ય પ્રમાણપત્ર માળખું અને સમયાંતરે સમીક્ષાને આવરી લેવામાં આવશે.
કેન્દ્રીય બજેટમાં શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કુલ રૂ. 500 કરોડના ખર્ચ સાથે એક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
શ્રીમતી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનીકરણના અમલીકરણ માટે રૂ. 20,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. આગામી પાંચ વર્ષમાં પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ આઇઆઇટી અને આઇઆઇએસસીમાં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપની જોગવાઈ પણ બજેટમાં પ્રસ્તાવિત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed