News Continuous Bureau | Mumbai
-D.K.
વિશ્વના કોઇપણ દેશની સરકાર જ્યારે આવશ્યક ચીજવસ્તુઓના અને કોમોડિટીનાં કારોબારને અસર થાય તેવા નિર્ણય લે ત્યારે અર્થતંત્રની ગાડીને પંચર પડ્યું હોવાના સંકેત મળે છે. જ્યારથી અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે જંગ શરૂ થયો છે ત્યારથી વિશ્વના મોટાભાગના દેશોમાં અર્થતંત્રની નાવ હાલકડોલક થઇ રહી છે. ભારતમાં અત્યાર સુધી શેરબજાર અને કરન્સીના કારોબાર ઉપર તેની અસર જોવા મળતી હતી. પરંતુ પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા બાદ છેલ્લા એક સપ્તાહમાં સરકારે જે ઝડપે નિર્ણય લેવાનું શરૂ કર્યુ છે તે જોતા એવું લાગે છે કે ભારતીયોને પણ સંયમથી દિવસો વિતાવવાનો સમય આવી ગયો છે.
છેલ્લા એક જ સપ્તાહમાં ભારતમાં મિલ્ક થી માંડીને મુદ્રા તથા બુલિયનથી માંડીને બળતણ જેવા ઘણા ક્ષેત્રો છૈ જે ફૂગાવો, મોંઘવારી, મંદી, તંગીના સંકેત આપે છે. એપ્રિલ મહિનાનાં અંતે આવેલા આંકડા પ્રમાણે ભારતનું ફોરેક્ષ રિઝર્વ ૭.૭ અબજ ડોલર ઘટીને ૬૯૦ અબજ ડોલરે પહોંચ્યુ છે. સોના નો અનામત જથ્થો પાંચ અબજ ડોલર ઘટીને ૧૧૫ અબજ ડોલરે પહોંચ્યો છે. વિદેશી હુંડિયામણની મિલ્કતો ૨.૭૦ અબજ ડોલર ઘટીને ૫૫૧ અબજ ડોલરે પહોંચી છે. આ બધા એવા મુદ્દાઓ છે જે ભારતને વિશ્વની ત્રીજા ક્રમની ઇકોનોમી બનવામાં અવરોધ ઉભા કરી શકે છે. જો લાંબો સમય આવી સ્થિતી ચાલુ રહે તો દેશને આર્થિક મહાસત્તા બનાવવા માટે સરકારે પ્રયાસો કરીને છેલ્લા દસ વર્ષમાં જે સફળતા મેળવી છે તેમાં પીછેહઠ થઇ શકે છે.
સ્થાનિક બજારની વાત કરીએ તો સોનાની આયાત ઉપર પાંચ ટકા અને ચાર ટકા એમ કુલ ૯ ટકા ડ્યુટી વધારીને કુલ ૧૬ ટકા કરવામાં આવી છે. ક્રુડતેલ બેરલ દિઠ ૧૦૦ ડોલરથી ઉપર જ રહેતું હોવાથી ઓઇલ માર્કેંગ કંપનીઓ જે નફો કરતી થઇ ગઇ હતી તે હવે અખાતી યુધ્ધ શરૂ થયું ત્યારથી દૈનિક ૧૦૦૦ કરોડ થી ૧૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કરે છે. ભારતે સ્થાનિક બજારમાં સાકરનો પુરવઠો જાળવી રાખવા માટે નિકાસ રાતોરાત બંધ કરી છે. અખાતી યુધ્ધના કારણે આપણા તરબુચ અને કેળા સહિતની પેરિશેબલ પેદાશોની નિકાસ રૂંધાતા વિદેશી હુંડિયામણની આવક ઘટી છે. સામાપક્ષે સસ્તું ક્રુડતેલ મળતું બંધ થતા તકલીફ વધી રહી છે. ભારતના કુલ આયાત બિલમાં ક્રુડતેલ અને ગોલ્ડનો હિસ્સો ૨૦૦ અબજ ડોલરથી વધારે હોય છે. જો નિકાસ ઘટે અને આયાત ચાલુ રહે તો ફોરેક્ષ રિઝર્વ કેટલું ઝડપથી ઘટે તે સમજી શકાય તેમ છે. આજ કારણ છે કે મોદીજી નવું સોનું ખરીદવાની ના પાડે છે અને વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ આપે છે. કારણ કે ક્રુડતેલની આયાત સંપૂર્ણ બંધ કરવાનું શક્ય નથી.
હવે દૂધ મોંઘુ થયું છે એટલે દૂધની બધી બનાવટો ઉપર અસર પડશે. હવે પેટ્રોલ તથા ડિઝલ મોંઘા થયા છે એટલે અન્ય તમામ વસ્તુઓ મોંઘી થશે. પરિણામે આપણો વિકાસ દર ઘટી શકે છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્ષ ૩.૯ ટકા વાળો વધીને ૮.૩ ટકા થયો છે.
અર્થતંત્રનો સામાન્ય સિધ્ધાંત છે કે સમસ્યા શરૂ થાય ત્યારે બધું સરળ જ લાગે પણ સમય જતાં તેના પરિણામો દેખાવા માંડતા હોય છે. યુધ્ધ શરૂ થયું ત્યારે તો આપણી પાસે પણ ક્રુડતેલનો સ્ટોક હતો. પરંતુ જંગને ત્રણ મહિના થવા આવ્યા પણ હજુ શાંતિના કોઇ વાવડ દેખાતા નથી. આમેય તે કહેવાય છે ને કે “ પાઘડીનો વળ છેડે આવે “. તેથી હવે સંયમિત થઇને સમય વિતાવવાની જરૂર છે.
આપણા સોશ્યલ મિડિયાનાં શહેનશાહો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા તથા ઇરાનની હાલત ઉપર મજાક કરતા હતા. પરંતુ જ્યારે પોતાનું બાળક ભુખ્યું રહે ત્યારે માતા-પિતા બીજાનું પણ ભૂખ્યું છે એવા દાવા કરીને ખુશ રહી ન શકે. મોદીજીની સરકાર આ દુ:ખ સમજે છે એટલે જ સરકારે પોતે પણ ખર્ચ ઘટાડવાની પહેલ આ વખતે સ્વયં સંયમ અપનાવીને કરી છે.
હજુ તો આગામી ચોમાસુ અલનિનોનો ભય દેખાડી રહ્યું છે. ખરિફ સિઝન ખરાબ જાય તો ઉભા થનારા સંજોગો માટે પણ આપણે તૈયાર રહેવાનું છે. આ આંકડા વાંચીને ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત અને સંયમિત રહેવાની આદત કેળવવાની જરૂર છે. હજુ તો કદાચ ઘઉં, ચોખા કે અન્ય કૄષિ પેદાશોની નિકાસ ઉપર પણ નિયંત્રણ આવી શકે છે.