News Continuous Bureau | Mumbai
-D.K.
Cumin Prices India: અખાતી યુધ્ધમાં જ્યારે બધું અટવાયેલું છૈ ત્યારે કોમોડિટીનાં(commodity) કારોબારીઓઐ બજાર કેવું વર્તન કરશે એ વિચારવાને બદલે બજારનું જે વર્તન હશે તેની સામે પોતાને કેવી રણનીતિ અમલમાં મુકવાની રહેશે તે નક્કી કરવાની જરૂર છે. આમ તો જીરામાં(cumin) હાલ નિકાસની પુરબહાર સિઝન હોવી જોઇએ પરંતુ જ્યારથી યુધ્ધ શરૂ થયું છે ત્યારથી જાણે બધું અટવાયેલું છે. કદાચ આજ કારણ છે કે એનસીડેક્સનાં(ncdex) વાયદામાં છેલ્લા ઐક મહિનાથી જીરાનાં ભાવ મર્યાદિત રેન્જમાં વધઘટ થાય છે. વેપારીઓએ આજના સંજોગોમાં સમયના ચગડોળને અને ભાવના ચગડોળ સાથે તાલ મિલાવીને વેપાર કરવાની જરૂર છે. વાયદામાં યુધ્ધ પહેલા એટલે કે ૨૭ મી ફેબ્રુઆરીએ જીરાનાં ક્વિન્ટલ દિઠ ભાવ ૨૨૩૨૫ રુપિયા હતા જે ૨૩ મી માર્ચે ઘટીને ૨૧૪૦૦ અને બીજી એપ્રિલે ફરી વધીને ૨૨૦૦૦ રૂપિયાની સપાટીએ હતા. બસ આજ રેન્જ છે હાલમાં જીરાના બજારની.
ઉંઝા સ્થિત વેપારીઓ જણાવે છે જ્યારથી યુધ્ધ શરૂ થયું છૈ ત્યારથી નિકાસની પુછપરછ લગભગ ઠપ્પ છે. કોઇ મજબુરીમાં હોય તો ઉછાળે વેચવા આવે છે. ૨૦ મી માર્ચથી ૨૭ માર્ચ સુધીના સપ્તાહમાં કુલ ૧૬૩૯૦ ટન જીરાની આવકો નોંધાઇ હતી જે આજ સમયગાળામાં ૨૦૨૫ ના વર્ષમાં ૩૦૫૮૮ ટનની હતી. મતલબ કે નીચા ભાવે ખેડૂતોને વેચવામાં રસ ન હોવાથી આવકો પણ ઘટી જાય છે. ગત વર્ષે ૧ લી જાન્યુઆરી-૨૦૨૫ થી ૨૭ મી માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૫૨૦૦૦ ટન જીરાની આવકો નોંધાઇ હતી જે આ વખતે હજુ ૧૪૪૦૦૦ ટને પહોંચી છે.
આ સમાચાર પણ વાંચો :Gold Hallmarking Rules: સોનું ખરીદતા પહેલા સાવધાન! નકલી હોલમાર્કવાળા દાગીના વેચનારાઓ પર સરકારની તરાપ, લાવી રહી છે કડક નિયમો
વિતેલા સપ્તાહમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની અફવાઓ આવી હતી પરંતુ હવે મોટાભાગના ખેતરોમાંથી જીરૂ ગોદામોમાં પહોંચી ચુક્યુ છે તેથી પાકને નુકસાન થવાની શક્યતા બહુ ઓછી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જીરાનો પાક લેતા અમુક વિસ્તારોમાં વરસાદના સમાચાર આવ્યા હતા. પરંતુ તેનાથી પાકને બહુ નુકસાન થવાની શક્યતા નથી. વરસાદ બાદ જીંવાતનો ઉપદ્રવ વધે તો ગોદામોમાં પડેલા જીરાને નુકસાન થઇ શકે છે. જો કે આ અંગેના અનુમાન હાલમાં ઘણા વહેલા ગણાશે. સિઝનનાં પ્રારંભે સર્વે એજન્સીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ એ જે અંદાજ આપ્યા હતા તે પ્રમાણે ઉત્પાદન ૯૦ થી ૯૫ લાખ બોરી જ રહેશે. રાજસ્થાનમાં આ વખતે પાક ઓછો છે પરંતુ કુલ ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ પાંચ થી ૧૦ ટકા જેટલુ ઘટવાનું અનુમાન છે. જુનો કેરી ફોરવર્ડ સ્ટોક ૧૭૮૦૦૦ ટનનો હોવાની અને કુલ પુરવઠો છ લાખ ટન રહેવાની ધારણા છે. સામા પક્ષે માંગ ૪૪૦૦૦૦ ટનની રહેશે. આમ માગ કરતા પુરવઠો વધારે હોવાના કારણે પણ તેજી લાંબો સમય રહેતી નથી.
વાયદામાં જીરાનાં કારોબાર હાલમાં નોંધપાત્ર છે. સ્ટોકિસ્ટો થોડો સ્ટોક કરી રહ્યા છે. સરેરાશ દૈનિક ૧૦૦ કરોડ રુપિયાના વેપાર થાય છે અને ઓપન ઇન્ટરેસ્ટ ૮૦૦૦ ટનના હોવાથી વાયદો મજબુત છે. જો કે જીરાના ઓપ્શનમાં ખાસ એક્ટીવીટી નથી.
વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતે ૨૨૯૮૯૮ ટન જીરાની નિકાસ કરી હતી જે ૨૦૨૩-૨૪ ની ૧૬૫૨૫૮ ટનની નિકાસ કરતા વધારે હતી. ગત વર્ષે નિકાસ સારી હતી એટલે આ વખતે નિકાસ વધવાની આશાએ નિકાસકારો તેજીમાં હતા. સૌ ને બે લાખ ટન જીરાની નિકાસની આશા છે. પરંતુ યુધ્ધે બાજી બગાડી નાખી હોવાનું નિકાસકારો જણાવે છે. જાન્યુઆરી-૨૦૨૫ માં થયેલી ૧૮૨૦૩ ટનની નિકાસ સામે જાન્યુઆરી-૨૦૨૬ માં ૧૦૨૦૫ ટન જીરાની નિકાસ થઇ હોવાના અહેવાલ છે. ભારતના કુલ ઉત્પાદનમાં માંડ ૩૦ ટકા જેટલી સ્થાનિક ખપત હોય છે તેથી ભાવમાં તેજીની શક્યતા નિકાસની માગના આધારે જ નક્કી કરી શકાય. તેથી નિકાસની માગ નીકળવા માટે અખાતી યુધ્ધ અટકવાની રાહ જોવી પડે તેમ છે.
